જુલાઈ 31, 2023

Prem ma malyu gyan/પ્રેમ માં મળ્યું જ્ઞાન


નમસ્કાર મિત્રો 
1પ્રેમ થી કર્મ વિશે જાણો,
2 પ્રેમ માં મળ્યું જ્ઞાન .
આ બે બુક જ્ઞાન ની જ હતી  પણ એક મિત્ર યે કહ્યું કે કર્મ વિશે વધુ સમજાવો...એટલે પ્રેમ થી કર્મ વિશે જાણો 2 પુસ્તક બનાવ્યું છે 
આભાર માનો યે મિત્ર નો કે આજે તેમના કારણે આપણ ને કઈક નવું શીખવા મળ્યું...

કર્મ ના પ્રકાર તો સમજાય ગયા હશે..કર્મની આ ત્રણ સંજ્ઞાઓ છે. આજે તેના વિશે જાણીએ...

 ભગવાન ગીતામાં કહે છે કે : કર્મણો પિ બોદ્ધવ્યું બોદ્ધથં ચ વિકર્મણઃ । અકર્મણથ બૌદ્ધવ્ય ગહના કર્મણો ગતિઃ II (ગી. ૪/૧૭) કર્મની ગતિ ગહન છે તેવું કબૂલ કરીને ભગવાન કહે છે કે :

કર્મણઃ ગતિ બોદ્રવ્યમ્

વિકર્મણઃ ગતિ બોદ્ધવ્યસ્

અકર્મણથ ગતિ બોદ્રવ્યમ્ II

કર્મની ગતિ જાણી લેવી, વિકર્મની ગતિ જાણી લેવી, અકર્મની ગતિ પણ જાણી લેવી, કારણ કે કર્મની ગતિ ગહન છે.
આ બાબતમાં ભગવાનનો અભિપ્રાય વાસ્તવમાં શું છે તે જાણવો ઘણો જ કઠણ છે. તેથી જુદાજુદા ભાષ્યકારોએ આ ત્રણ શબ્દોના જુદાજુદા અર્થ તેમનાં મંતવ્ય પ્રમાણે કરેલા છે. સાધારણ રીતે વિદ્વાનોએ કર્મ, વિકર્મ અને અકર્મનો જે સર્વસામાન્ય અર્થ કરેલો છે તે જોતાં જણાય છે કે ઃ આ લોક અને પરલોકમાં જેનું ફળ સુખદાયી હોય તેવી ઉત્તમ ક્રિયાનું નામ કર્મ' (prescribed action) કહેવાય.
 જેનું ફળ આ લોકમાં ને પરલોકમાં દુઃખદાયી હોય તેનું નામ વિકર્મ (prohibited action) કહેવાય.  
જે કર્મ અગર કર્મત્યાગ કોઈ પણ ફળની ઉત્પત્તિનું કારણ ના બને તે અકર્મ (inaction) કહેવાય.

સાધારણ રીતે આપણે તો મન, વાણી અને શરીરથી થતી તમામ ક્રિયાઓને કર્મ કહીએ છીએ અને તેથી કરીને કર્મ, વિકર્મ અને અકર્મના અર્થ સમજવામાં તકલીફ પડે છે. એટલે તો ભગવાન પણ ગીતામાં કહે છે કે :
કિં કર્મ કિં અકર્મતિ । કવયોપ્યત્ર મોહિતાઃ ।। (ગી. ૪/૧૬)
કર્મ એટલે શું અને અકર્મ એટલે શું તે સમજવામાં તો મોટામોટા બુદ્ધિમાન પુરુષો પણ ગોથું ખાઈ જાય છે, કારણ કે તેની ગતિ ગહન છે. આ ઉપરથી એમ લાગે છે કે માત્ર મન, વાણી અને શરીરની સ્થૂળ ક્રિયા અગર અક્રિયાનું નામ કર્મ, વિકર્મ અગર અકર્મ નથી, પરંતુ કર્તાની ભાવના અનુસાર કોઈ પણ ક્રિયા પ્રસંગોપાત્ત કર્મ-વિકર્મ અગર તો રૂપમાં પરિણત થતી હોય છે,

આ વાત નીચેનાં દૃષ્ટાંતોથી સમજી શકાશે
. ૧. કર્મ 

સાધારણ રીતે મન-વાણી-શરીરથી થતી શાસ્ત્રવિહિત ઉત્તમ ક્રિયાને જ કર્મ (prescried action) કહેવાય, પરંતુ શાસ્ત્રવિહિત વિધિપૂર્વકની ક્રિયા પણ કર્તાના જુદાજુદા પ્રકારના ભાવો ઉપર આધાર રાખે છે અને તેથી જ તે ક્રિયા કરનારની અમુક પ્રકારની ભાવનાને લીધે તે કેટલીક વખત ‘કર્મ'ને બદલે “વિકર્મ’ અગર ‘અકર્મ’ પણ બની જાય છે. દાખલા તરીકે :

(૧) ફળની ઇચ્છાથી શુદ્ધ ભાવનાપૂર્વક જો શાસ્ત્રસંમત વિધિથી ઉત્તમ કર્મ કરાય તો તે ‘કર્મ’ કહેવાય, પરંતુ

(૨) તે કર્મ ફળની ઇચ્છાપૂર્વક યજ્ઞ, તપ, દાન, સેવાના રૂપમાં વિધેય કર્મ છતાં ખરાબ દાનતથી - પ્રજાનું અનિષ્ટ કરવાની ઇચ્છાથી (‘પરસ્યોત્સાદનાર્થ’) કરવામાં આવે તો તે કર્મ તમોગુણપ્રધાન હોવાથી વિકર્મ (prohibited action) બની જાય છે. પરંતુ
 (૩) તે જ કર્મ જો કર્તાપણાના અભિમાન સિવાય અંગત રાગદ્વેષથી પ્રેરાયા વિના સમષ્ટિના કલ્યાણ માટે ભગવત્પ્રીત્યર્થે કરવામાં આવે તો તે ‘કર્મ’ ‘અકર્મ' બની જાય છે.

૨. વિકર્મ (prohibited action) : સાધારણ રીતે મન-વાણી-શરીરથી કરાતી હિંસા, અસત્ય, ચોરી વગેરે નિષિદ્ધ કર્મ વિકર્મ' કહેવાય છે.

પરંતુ આવાં વિકર્મ પણ કર્તાની ભાવના અનુસાર કર્મ અગર અકર્મમાં બદલાઈ જાય છે.

દા. ત. (૧) આ લોક અગર પરલોકમાં ફળ મળવાની ઇચ્છાપૂર્વક, સાચી દાનતથી, શુદ્ધ ભાવથી, જૂઠ, હિંસા, ચોરી વગેરે ક્રિયા (જે દેખીતી રીતે દુનિયાની દૃષ્ટિએ વિકર્મ ગણાય) તે ગીતાની ભાષામાં ‘કર્મ’ કહેવાય. શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને જૂઠું બોલવાની પ્રેરણા (abetment) કરી, અર્જુને પોતાના ગુરુ દ્રોણની તથા પોતાના જ દાદા ભીષ્મની હિંસા કરી, શ્રીકૃષ્ણે સ્યમંતકમણિ તથા ગોકુળમાં માખણની ચોરી કરી, છતાં આ ક્રિયાઓ વિકર્મમાં નહિ ગણાતાં 'કર્મ'માં બદલાઈ જાય છે.

(૨) કર્તાપણાના અભિમાન સિવાય, રાગદ્વેષથી પ્રેરાયા સિવાય, સમષ્ટિના કલ્યાણ માટે કરેલું ‘વિકર્મ' પણ અકર્મ બની જાય છે. પ્રતિજ્ઞાનો ભંગ કરવો તે પાપ ‘વિકર્મ’ કહેવાય, છતાં શ્રીકૃષ્ણ પ્રતિજ્ઞાનો ભંગ કરીને યુદ્ધમાં શસ્ત્ર (રથચક્ર) પકડીને ભીષ્મ જેવા સત્યપ્રતિજ્ઞને મારવા દોડ્યા તે વિકર્મ નહિ, પરંતુ ‘અકર્મ' (inaction) ગણાય. 

૩. અકર્મ (inaction) :

મન, વાણી, શરીરની તમામ ક્રિયાઓ બંધ કરી દઈએ તેને જ અકર્મ કહેવાય તેવું નથી. ખરેખર તો મન, વાણી, શરીરની તમામ ક્રિયાઓ સંપૂર્ણપણે તો બંધ થઈ શકે જ નહિ.

નહિ કશ્ચિત્ ક્ષણમપિ જાતુ તિષ્ઠતિ અકર્મકૃત્ । (ગી. ૩૫) કોઈ પણ માણસ એક ક્ષણ પણ ક્રિયાહીન રહી શકે જ નહીં. નહિ દેહભૂતા શક્ય ત્યક્તું કર્મણિ અશેષતઃ । (ગી. ૧૮/૧૧) દેહ ધારણ કરનાર કોઈ પણ માણસ કે પ્રાણીને માટે સંપૂર્ણપણે ક્રિયાનો ત્યાગ કરવાનું શક્ય જ નથી. એટલે નીચે જણાવેલાં કર્મને

‘અકર્મ' કહી શકાય.

૧. કર્તાપણાના અભિમાન સિવાય કરેલાં કર્મ. ૨. રાગદ્વેષથી પ્રેરાયા સિવાય કરેલાં કર્મ.

૩. શુદ્ધ બુદ્ધિથી પોતાની પવિત્ર ફરજ સમજીને કરેલાં નિત્યકર્મ, 
૪. મારો ભગવાન રાજી થાય તેવી ભાવનાથી ભગવત્પ્રીત્યર્થે કરેલાં કર્મ
૫. સમષ્ટિના કલ્યાણ માટે કરેલાં કર્મ.
 ૬. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ’ કરીને કરેલાં કર્મ.
૭. નિષ્કામ કર્મ.

ઉપર્યુક્ત અકર્મ પણ કરનાર કર્તાની હૃદયભાવનાફેરને લીધે કેટલીક વખત ‘કર્મ' અગર વિકર્મ' બની જાય છે. દા. ત. :

(૧) મન, વાણી, શરીરની તમામ ક્રિયાઓનો ત્યાગ કરીને એકાંતમાં બેઠેલો ક્રિયારહિત કોઈ સાધક પુરુષ પોતાને સંપૂર્ણ ક્રિયાઓના ત્યાગી તરીકેનો અહંકાર ધારણ કરીને દેખીતી રીતે તે કંઈ પણ ક્રિયા નહિ કરતો હોવા છતાં કર્મત્યાગનો અહંકાર હોવાને લીધે તેનું એ ત્યાગરૂપ ‘કર્મ’ પણ ‘અકર્મ’ બની જાય છે. એટલે તેનું ત્યાગરૂપ ‘અકર્મ’ પણ કર્મ બની જાય છે. તેણે કર્મત્યાગ કર્યાનું કર્મ કર્યું ગણાય.

(૨) પોતાનું કર્તવ્ય પ્રાપ્ત થયું છતાં ભય અગર સ્વાર્થને લીધે અગર તો જવાબદારીથી છટકવા માટે કર્તવ્ય કર્મથી મોઢું ફેરવી લે અને વિહિત કર્મો ના કરે અથવા ખરાબ દાનતથી લોકોને ઠગવા માટે કર્મોનો ત્યાગ કરે તો દેખીતી રીતે તે કંઈ પણ કર્મ નહિ કરતો હોવા છતાં તેનું ‘અકર્મ' દુઃખરૂપી ફળ ઉત્પન્ન કરનારું જ બને. તે ‘અકર્મ' પણ ‘વિકર્મ' બની જાય. 
ઉપર પ્રમાણે ચોખવટથી જણાશે કે કર્મ, અકર્મ, વિકર્મનો નિર્ણય માત્ર ક્રિયાશીલતા અગર તો નિષ્ક્રિયતાથી જ ના થઈ શકે. કર્મ કરનાર કર્તાના હૃદયના ભાવ, લક્ષ્ય અગર હેતુને ધ્યાનમાં રાખી તે પ્રમાણે તેની ક્રિયાને કર્મ, અકર્મ અગર વિકર્મ કહી શકાય. કયા હેતુથી, કયા ભાવથી, શા ઉદ્દેશથી ક્રિયા કરવામાં આવે છે તે જાણીને પછી જ તે ક્રિયા કર્મ છે કે અકર્મ છે કે વિકર્મ છે તેનો નિર્ણય થઈ શકે.

ટૂંકમાં કહીએ તો ગીતાના ચોથા અધ્યાયના શ્લોકમાં કર્મ, વિકર્મ અને અકર્મ શબ્દો જે ભગવાને વાપર્યા છે તેનો સાદો અર્થ એ થાય કે : કર્મ એટલે સત્કર્મ - સારું કર્મ - પુણ્યકર્મ. વિકર્મ એટલે ખરાબ કર્મ . પાપકર્મ.

કર્મ કે પુણ્યકર્મના - સત્યકર્મના ઝાડને સુખનાં ફળ બાઝે અને વિકર્મ(પાપકર્મ)ના ઝાડને દુઃખનાં ફળ બાઝે અને સુખ અગર દુઃખ ભોગવવા તો દેહ ધારણ કરવો જ પડે. દેહના બંધનમાં તો આવવું જ પડે. માત્ર ફેર એટલો જ કે કર્મ (સત્કર્મ) સોનાની બેડી છે, જ્યારે વિકર્મ (પાપકર્મ) લોખંડની બેડી છે, પરંતુ છેવટે કર્મ (સત્કર્મ) અગર વિકર્મ પાપકર્મ) બંને દેહની જેલમાં જીવાત્માને બેડી-બંધન સમાન જ ગણાય. તેનાથી મોક્ષ એટલે કે બંધનથી મુક્તિ મળી શકે નહિ.

જ્યારે અકર્મ અલૌકિક વસ્તુ છે. તેમાં ક્રિયા થતી હોવા છતાં કર્તાપણાનું અભિમાન, રાગદ્વેષ વગેરે નહિ હોવાથી તેમ જ ઈશ્વરપ્રીત્યર્થે સમષ્ટિના કલ્યાણ માટેની ક્રિયા હોવાથી અકર્મ (inaction) બની જાય છે અને તે સંચિતમાં જમા થતાં નથી, તેથી કર્મ તે અકર્મ મોક્ષ(જન્મ મરણમાંથી મુક્તિ)નું સાધન બની શકે છે. ભગવાન આગળ એક બીજી સરસ વાત કહે છે

કર્મણિ અકર્મ યઃ પશ્વેત્ અકર્મણિ ચ કર્મ યઃ | સ બુદ્ધિમાન્ મનુષ્યેષુ ।
સ યુક્તઃ કૃત્સ્નકર્મકૃત્ ॥ (ગી. ૪/૧૮)

દેખે કર્મ અકર્મમ, કર્મ ન માંહી અકર્મ, પંડિત યોગી શ્રેષ્ઠતમ કરત સર્વ હી કર્મ; સૂર્યનારાયણને પૂછો કે આપે આવો ગાઢ અંધકાર દૂર કર્યો તે બદલ આપનો આભાર માનીએ, તો સૂર્યનારાયણ એમ જ કહે કે મેં અંધકાર દૂર કર્યો જ નથી, પરંતુ મારા અસ્તિત્વ-માત્રથી અંધકાર એની મેળે જ, સહજ રીતે જ, સ્વાભાવિક રીતે જ, દૂર થઈ ગયો છે. અને જો તેમ ના થાય તો મારા અસ્તિત્વનો કશો જ અર્થ નથી. મારું સૂર્યનારાયણ તરીકેનું નામ જ ભૂંસાઈ જાય. આ કર્મમાં અકર્મ જોવાનો અને અકર્મમાં કર્મ જોવાનો પ્રત્યક્ષ દાખલો છે. ભયંકર - પ્રગાઢ અંધકારને દૂર કરતા હોવા છતાં સૂર્યનારાયણ કાંઈ કરતા નથી અને કાંઈ પણ નહિ કરતા હોવા છતાં તે પ્રગાઢ - ભયંકર અંધકારને (ઉદય થતાં જ) તાત્કાલિક દૂર કરે છે.

ભમરડો જ્યારે તેની highest velocity ઉપર સંપૂર્ણ રીતે ફરતો હોય છે, ત્યારે આપણે કહીએ છીએ કે ભમરડો ઊભો છે. આ કર્મમાં અકર્મ જોવાનો દાખલો છે. યંત્રનું પૈડું જોરથી ફરે છે ત્યારે ફરતું નથી, પરંતુ સ્થિર ઊભું હોય તેવું દેખાય છે.

પ્રકાશ કરવો અને અંધકાર દૂર કરવો તે સૂર્યનો સહજ સ્વભાવ - સ્વધર્મ છે. કૂકડો પરોઢિયે બોલે છે તે તેનો સહજ ધર્મ છે. તેને માટે તેને કોઈએ માનપત્ર આપ્યું નથી. કિલકિલ કરવું તે પક્ષીનો સહજ ધર્મ છે. માની યાદ આવવી તે બચ્ચાંનો સહજ ધર્મ છે. ઈશ્વરનું સ્મરણ કરવું તે સંતોનો સહજ ધર્મ છે.
સમષ્ટિના કલ્યાણ માટે, લોકસંગ્રહાર્થે, ભગવત્પ્રીત્યર્થે, રાગદ્વેષથી પ્રેરાયા સિવાય સ્વાભાવિક રીતે તમામ કર્મ કરવાં તે સાધુપુરુષોનો સહજ ધર્મ છે અને તેમનાં તેવાં તમામ કર્મ અકર્મ દશાએ પહોંચેલાં છે તેમ સમજવું.
સેવાકર્મો જ્ઞાનીનાં સહજ કર્મો છે. ઉપકાર કરવાનો તેનો સ્વભાવ થઈ જાય છે. ‘હું ઉપકાર નહિ કરું' તેવું તે કહે તો પણ તે તેના માટે અશક્ય છે. સંન્યાસ આથી પરમ ધન્ય અકર્મ- સ્થિતિ છે.

બેસી રહો, તોપણ એક ક્રિયા થઈ. બેસવું ક્રિયાપદ છે. કેવળ વ્યાકરણ-દૃષ્ટિથી જ એ ક્રિયા છે તેવું નથી. સૃષ્ટિશાસ્ત્રમાં પણ બેસવું એ ક્રિયા જ છે. કર્મ ન કરવું એ પણ કર્મનો જ એક પ્રકાર છે. ચોવીસ કલાક કર્મ કરવામાં મંચો રહેવા છતાં સૂર્ય લેશમાત્ર કર્મ આચરતો નથી.

સૂર્ય કર્મ કરવા છતાં કર્મ કરતો નથી એવી સ્થિતિનું વર્ણન કર્યું. તેવો તેનો બીજો પ્રકાર પણ છે. તે કોઈ પણ કર્મ કરતો નથી, છતાં આખી દુનિયા પાસે કર્મ કરાવે છે. એ એની બીજી બાજુ છે. તેનામાં પાર વગરની પ્રેરક શક્તિ છે. અકર્મની એ જ ખૂબી છે. અનંત કાર્યને જરૂરી શક્તિ અકર્મમાં ભરેલી હોય છે.
વરાળને પૂરી રાખો તો તે પ્રચંડ કામ કરે છે. એ પૂરી રાખેલી વરાળમાં અઢળક શક્તિ પેદા થાય છે. મોટીમોટી આગગાડી તે સહેજ રમતમાં ખેંચી જાય છે.
આમ, કર્મ અને અકર્મ બંને અસામાન્ય છે. એક પ્રકા૨માં કર્મ ખુલ્લું છે અને અકર્માવસ્થા ગુપ્ત હોય છે. બીજામાં અકર્માવસ્થા ખુલ્લી દેખાય છે, પણ તેને લીધે અનંત કર્મ ઠાંસીને ભરેલું હોવાથી પ્રચંડ કાર્ય પાર પાડે છે. જેની અવસ્થા - આવી અવસ્થા સિદ્ધ થયેલી હોય તેની અને આળસુ માણસની વચ્ચે મોટો ફેર છે.

સૂર્ય જાતે કશા હોંકારા કરતો નથી, પણ તેને જોતાંની સાથે પક્ષીઓ ઊડવા માંડે છે, ઘેટાં-બકરાં નાચવા માંડે છે, વેપા૨ીઓ દુકાન ઉઘાડે છે, ખેડૂતો ખેતરમાં જાય છે અને જગતના જાતજાતના વહેવારો ચાલુ થાય છે. સૂર્ય કેવળ હોય એટલું જ પૂરતું છે. એટલાથી અનંત કામો ચાલુ થાય છે. આ અકર્માવસ્થામાં અનંત કર્મોની પ્રેરણા ભરેલી છે.

 કર્મ અને અકર્મમાં જ્ઞાનીઓ પણ ગૂંચવાય છેઃ ભગવાન ગીતામાં કબૂલ કરે છે :

કિં કર્મ કિં અકર્મ ઇતિ કવયઃ અપિ અત્ર મોહિતાઃ ||  
કર્મ શું છે અને અકર્મ શું છે
 એવા આ વિષયમાં બુદ્ધિમાન પુરુષો (કવિઓ) પણ મોહિત થઈ ગયા છે. કર્મ શું છે અને અકર્મ શું છે તેમાં બુદ્ધિમાન માણસો પણ નિર્ણય કરી શકતા નથી. આ વાત દેખીતી રીતે બહુ વિચિત્ર લાગે છે, કારણ કે કર્મ શું છે અને અકર્મ શું છે તે તો સાધારણ બુદ્ધિનો અને અભણ માણસ પણ સમજી શકે.

કર્મ શું કહેવાય અને કર્મ શું ના કહેવાય તે તો આપણે બધા સાધારણ જીવો પણ જાણતા હોઈએ તેવું લાગે છે. તો પછી ભગવાન એમ કેમ કહે છે કે બુદ્ધિમાન માણસો એટલે કે જ્ઞાનીઓ પણ કર્મ અને અકર્મનો ભેદ સમજી શકતા નથી ? માટે ભગવાનની વાણીમાં કંઈક ગૂઢ અર્થ સમાયેલો છે, જે આપણે જાણવો જોઈએ. કદાચ આપણે જેને કર્મ કહીએ છીએ તે ભગવાનના અર્થમાં કર્મ નહિ ગણાતું હોય અને આપણે જેને અકર્મ માનીએ છીએ તે કદાચ અકર્મ નહિ હોય. ગીતાની ભાષા અટપટી નથી, પરંતુ જીવન અટપટું છે, એટલે આપણને એવું લાગે છે.
આપણે જેને કર્મ કહીએ છીએ તે ખરેખર કર્મ - નથી હોતું, પરંતુ ઘણે ભાગે તે પ્રતિકર્મ હોય છે. 
ઉ દા..
કોઈ પણ આપણને ગાળ દે અને આપણે તેની સામે ગાળ દઈએ
તો આપણે જે ગાળ દીધી તે આપણું કર્મ - action -ના ગણાય પરંતુ તે પ્રતિકર્મ - reaction - કહેવાય. કોઈ આપણું બહુમાન કરે - હાર પહેરાવે અને આપણે તેની પ્રશંસા કરીએ - આનંદિત થઈએ તે આપણે આનંદિત થયા, પ્રશંસા કરી
તે આપણું કર્મ - action - નહીં, પરંતુ પ્રતિકર્મ ગણાય. ખરેખર તો આપણે મોટે ભાગે જીવનમાં કર્મ નહિ, પરંતુ પ્રતિકર્મ જ કરતા હોઈએ છીએ. આપણાં તમામ કર્મ મોટે ભાગે આપણી અંદરથી, સહજભાવે, સ્વાભાવિક સ્ફુરણાથી થતાં હોતાં નથી, પરંતુ બહારનાં પરિબળોથી પ્રેરાઈને કરાતાં હોય છે.
કોઈ આપણને ધક્કો મારે અને આપણને ક્રોધ આવી જાય, કોઈ આપણું બહુમાન કરે અને આપણો અહંકાર જાગ્રત થાય, કોઈ આપણને ગાળ દે અને આપણે તેને સામી ગાળ દઈએ, કોઈ આપણને પ્રેમના શબ્દો કહે ને આપણે ગદિત થઈ જઈએ - આ બધાં આપણાં પ્રતિકર્મ છે.
સૂક્ષ્મ દૃષ્ટિથી જુઓ તો કોઈ આપણને ગાળ દે ત્યારે આપણે સામી ગાળ દેતા નથી, પરંતુ દેવી પડે છે. જો તમે ગાળ દો તો તે કર્મ અને ગાળ દેવી પડે તો તે પ્રતિકર્મ કહેવાય, પરંતુ મને કોઈ ગાળ દે અગર ધક્કો મારે છતાં તમે ઉપેક્ષાવૃત્તિથી તેને સામી ગાળ ના દો તો તમે ગાળ ના દેવાનું કર્મ કર્યું ગણાય. 
એવી જ રીતે તમારું કોઈ બહુમાન ના કરે તોપણ તેની પ્રશંસા કરો, તો તમે તે પ્રશંસા કરવાનું કર્મ કર્યું ગણાય. તમને કોઈ પ્રેમના શબ્દો ના કહે છતાં તમે તેના પ્રત્યે પ્રેમભાવે ગદિત થઈ જાઓ તો તે તમારું કર્મ ગણાય.

કર્મ એટલે સહજ સ્વાભાવિક રીતે સ્વેચ્છાએ સ્વધર્મ સમજીને કરેલું નિયત અને શાસ્ત્રવિહિત કર્મ જે શુદ્ધબુદ્ધિ, વ્યાવસાયાત્મિકા બુદ્ધિની સ્ફુરણાથી પ્રેરિત - થયેલું હોય તે કર્મ. જ્યારે પ્રતિકર્મ એટલે બહારનાં પરિબળોથી પ્રયુક્ત થયેલું મજબૂરીથી કરેલી ક્રિયા. 
વધું એક ઉ.દા....
ભગવાન બુદ્ધ સંબંધી એક વાર્તા મારા વાંચવામાં આવી છે.
એક માણસ ભગવાન બુદ્ધ ઉપર થૂંક્યો. બુદ્ધે સહજભાવે પોતાની ચાદર વડે તે થૂંક લૂછી નાખ્યું અને બિલકુલ મનમાં પણ ક્રોધ લાવ્યા સિવાય સ્વાભાવિક ભાવથી પૂછ્યું કે : “બીજું કાંઈ કહેવું છે ?'
પેલો માણસ એકદમ વિચલિત થઈ ગયો અને થોડો ખચકાયો. શું જવાબ આપવો તે તેને સૂઝ્યું નહિ. બુદ્ધ કંઈક પ્રતિકર્મ કરશે, કંઈક ગુસ્સો કરશે, કેમ થૂંક્યો એવું કાંઈ પૂછશે તે આશાથી તે માણસ પોતાનો સાચો જવાબ તૈયાર કરી આવેલો, પરંતુ આવું કાંઈ બન્યું નહિ તેથી તે દ્વિધામાં પડી ગયો - મુશ્કેલીમાં પડી ગયો અને બુદ્ધને પૂછ્યું : “તમે આ શું પૂછો છો ?
બુદ્ધે કહ્યું : “હું બરાબર પૂછું છું કે તમારે બીજું કાંઈ કહેવું છે ?'' પેલા માણસે કહ્યું : “પણ મેં તમને કાંઈ કહ્યું નથી, માત્ર આપની ઉપર થૂંક્યો છું.”
બુદ્ધે કહ્યું : ‘“તમે થૂંક્યા, પણ હું સમજ્યો તમે કાંઈક કહ્યું, કારણ કે થૂંકવું એ પણ કંઈક કહેવાની એક રીત છે. કદાચ તમારા મનમાં એટલો બધો ક્રોધ ભરાઈ ગયો હશે કે જે શબ્દોમાં તમે કહી ન શક્યા તે તમે થૂંકીને કહ્યું, કારણ કે ક્રોધ એટલી બધી હદે પહોંચી ગયો હશે કે તે શબ્દો દ્વારા વ્યક્ત કરવો શક્ય નહિ હોય. હું પણ કેટલીક વખત ઘણી વાતો કહેવાની ઇચ્છા કરું છું જે શબ્દોથી નથી કહી શકતો ત્યારે ઇશારાથી એ વાતો કહેવી પડે છે. તેવી જ રીતે તમારો ભયંકર ક્રોધ શબ્દોથી જ પ્રદર્શિત ના કરી શક્યા તેથી ફૂંકીને ઇશારાથી જણાવ્યો તે વાત હું સમજી ગયો.'' પેલા માણસે કહ્યું : “તમે કાંઈ સમજ્યા નથી. મેં તો માત્ર ક્રોધ કર્યો છે.”
બુદ્ધે કહ્યું : પ્રેમ થી અને શાંતિ થી કહ્યું“તમે મારા માલિક નથી. તમે ક્રોધ કરો એટલા માટે હું પણ ક્રોધ કરું તો-તો હું તમારો ગુલામ કહેવાઉં. તમને જે કરાવવા માગતા હતા તે મે કર્યું એવું થાય પણ હું તમારા કેવું શું કરવા માનું ,હું તમારી પાછળપાછળ ચાલનારો - તમારી છાયા નથી. તમે ક્રોધ કર્યો, બસ વાત ખતમ થઈ ગઈ. હવે મારે શું કરવું તે હું કરીશ.'' બુદ્ધે કશું ના કર્યું, ક્રોધ ના કર્યો. થૂંક લૂછી નાખ્યું. પેલો માણસ ચાલ્યો ગયો.

પેલો માણસ બીજે દિવસે ક્ષમા માગવા આવ્યો. માથું પગમાં મૂક્યું. આંખમાંથી આંસુ કાઢ્યાં. માથું ઊંચું કરીને પેલા માણસે બુદ્ધ સામે જોયું. બુદ્ધે પૂછ્યું : “હવે
કાંઈ કહેવું છે ?' પેલા માણસે કહ્યું : “આપ આ શું કહો છો ?”’ બુદ્ધે કહ્યું : “હું સમજી ગયો. તમારા મનનો ભાવ એટલો ઘેરો બની ગયો છે કે શબ્દોથી તમે તે કહી શકતા નથી, તો આંસુ કાઢીને, પગે માથું અડાડીને ઇશારાથી તે ભાવ વ્યક્ત કરો છો. કાલે પણ તમે કંઈક કહેવા માગતા હતા, જે તમે શબ્દોથી કહી શક્યા નથી, માત્ર થૂંકીને ઇશારો કરીને જણાવી શક્યા. આજે પણ તમે કંઈક કહેવા માગો છો, પરંતુ શબ્દોથી કહી શકતા નથી, તેથી આંખમાંથી આંસુ કાઢીને, પગે માથું મૂકીને આવા ઇશારા કરીને કહો છો, તે હું સમજી શકું છું.”
પેલા માણસે કહ્યું : “હું ક્ષમા માગવા આવ્યો છું. મને ક્ષમા કરો !'' બુદ્ધે કહ્યું : “હું શા માટે ક્ષમા કરું ? મેં ગઈ કાલે તમારી ઉપર ક્રોધ કર્યો જ નથી, પછી ક્ષમા કરવાનો સવાલ રહેતો નથી. જેવી રીતે કાલે તમે થૂંક્યા એવી રીતે આજે તમે મને પગે પડ્યા. બસ, વાત ખતમ થઈ ગઈ. એથી વધારે કર્મમાં પડવાની મારે શી જરૂર ? હું કાંઈ તમારો ગુલામ નથી કે તમે કહો ત્યારે ક્રોધ કરું અને તમે કહો ત્યારે ક્ષમા કરું
પ્રતિકર્મ ગુલામી છે, આ વાત યાદ રાખ જો...જે બીજાં લોકો તમારી પાસે કરાવે છે. 
જે ગુલામ નથી, પરંતુ સ્વતંત્ર છે તે કર્મ કરે છે, પ્રતિકર્મ કરતો નથી. એટલે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ અને અકર્મનો ભેદ બુદ્ધિમાન માણસો પણ સમજી શકતા નથી. અકર્મનો અર્થ પણ આપણે સૂક્ષ્મ દૃષ્ટિથી સમજી લેવો જોઈએ. કાંઈ પણ ના કરવું, માત્ર ખાલી બેસી રહેવું તેને આપણે અકર્મ સમજીએ છીએ તે બરાબર નથી.
બિલકુલ કાંઈ કર્મ કરવું જ નહિ તેને (નૈષ્કર્મને) અકર્મ કહેવાય નહિ. તેને નૈષ્કર્માં-સિદ્ધિ પ્રાપ્ત કરી એમ કહી શકાય નહિ. ભગવાન ગીતામાં કહે છે કે :
ન કર્મણા અનારંભાત્ નૈષ્કર્માં પુરુષોડશ્રુતે । ન ચ સંન્યસનાદેવ સિદ્ધિ સમધિગચ્છતિ II (ગી. ૩/૪)

કોઈ પણ કર્મનો આરંભ જ ના કરવો અને કહો કે કર્મ-માત્રનો સંન્યાસ-ત્યાગ કર્યો છે માટે મેં નૈષ્કર્યસિદ્ધિ પ્રાપ્ત કરી છે તે વાત ખોટી છે. આપણે અકર્મણ્યતા ને અકર્મ સમજીએ છીએ તે ખોટું છે. કાંઈ પણ ના કરવાથી અકર્મ ના થઈ શકે. કારણ કે તમે કાંઈ પણ કરતા નથી હોતા અને હાથ-પગ જોડીને, આંખ-કાન- જીભ બંધ કરીને બેસી રહ્યા હો છો ત્યારે પણ તમે ઘણાં કર્મ કરી રહ્યા છો. માત્ર બધી ઇન્દ્રિયોનો વ્યાપાર બંધ કરીને મનથી અનેક જાતના સંકલ્પવિકલ્પ કરો, કામનાઓના અને વાસનાઓના વિચાર કરો તો તે પણ કર્મ કહેવાય - અકર્મ ના કહેવાય. આમ કરવાથી તો ઊલટું તમે મિથ્યાચાર કર્યો ગણાય અને તે માણસ તો ‘વિમૂઢાત્મા’ગણાય. 
ભગવાન ગીતામાં આ વાત સ્પષ્ટ રીતે કહે છે : કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ | ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે ॥ (ગી. ૩/૬)

જ્યારે તમે બહારની ઇન્દ્રિયોના વ્યાપાર બંધ કરો છો ત્યારે તમે અંદર મનોમન ઘણું કર્મ કરો છો. તમે દેખાઓ છો કર્મહીન, પણ અંદરખાને તમે અત્યંત સક્રિય છો. પલંગમાં હાથ-પગ લાંબા કરીને સૂઈ જાઓ એ અકર્મ ના કહેવાય. તમારું મન બજારમાં ભમતું હોય છે, કોઈને ગાળો દેતું હોય છે, કોઈની પ્રશંસા કરતું હોય છે, ન જાણે કેટલાં કર્મ કરતું હોય છે ! જેટલું કર્મ તમે ભાડાં ખર્ચીને, દોડીદોડીને, ખૂબ વખત બગાડીને પણ ન કરી શકો તેટલું કર્મ તમે પલંગમાં પડ્યાપડ્યા, વગર ભાડું ખર્ચે, વગર દોડાદોડ કર્યો, વગર સમય બગાડો કરતા હો છો એટલે તે અકર્મ ના કહેવાય.
રાત્રે તમે નિષ્ક્રિય થઈને શરીર ઢીલું કરીને પલંગમાં પડ્યાપડ્યા ઊંઘો છો ત્યારે પણ તમે સ્વપ્નાવસ્થામાં આખી રાત દોડાદોડ કરો છો, રડો છો. ચોરી, વ્યભિચાર, હત્યા વગેરે જે તમે દિવસ દરમિયાન કરી શકતા નથી તે પણ રાત્રે સ્વપ્નાવસ્થામાં કરો છો. આખી રાત તમારી ચેતના ગહન કર્મ કરી રહી હોય છે, એટલે તે વખતે પણ તમે અકર્મમાં છો તેમ ના કહેવાય.

અકર્મ એટલે બાહ્ય ઇન્દ્રિયોથી નિયત કર્મ થતું હોવા છતાં અંતરના મનમાં કર્મફળની કોઈ કામના, વાસના, આસક્તિ, રાગદ્વેષ ન રહે અને માત્ર સમષ્ટિના કલ્યાણ માટે ઈશ્વપ્રીત્યર્થે સ્વધર્મની ભાવનાથી જે કર્મ સ્વાભાવિક રીતે સહજભાવે થયા કરે તે. આવી રીતે કર્મ અને અકર્મ વચ્ચેનો નાજુક અને સૂક્ષ્મ વિવેક જે
સમજે છે તે જ બુદ્ધિમાન ગણાય છે 
એમ ભગવાન કહે છે. 
"અકર્મ એટલે આંતરિક મૌન. અંતરમાં કર્મના તરંગો ના ઊઠે - કર્મફળમાં આસક્તિ રાગદ્વેષ-વાસના ના જાગે, પરંતુ બહારથી કર્મનો અભાવ ન દેખાય તેનું નામ અકર્મ."

જ્યારે અંતરમાં કર્મની વાસના ઊઠે ત્યારે કર્તા બની જાય પરંતુ કર્મફળની વાસના-આસક્તિ-રાગદ્વેષ અંતરમાં ના રહે તો તે કર્મનો કર્તા પણ ના બચે. કર્તા શૂન્ય થઈ જાય. માત્ર નિષ્કામ કર્મ જ રહે તેનું નામ અકર્મ...
 આમ કર્મ વિશે જેટલા ઊંડા ઉતરી તેમ તમને કર્મ વિશે નવા નવા માર્ગ જાણવા મળશે..આ કર્મ ની કોઈ અંત જ નથી એવું લાગે છે...આમ ટૂંકમાં કહુતો પ્રેમ ની પરિભાષા 1 બુક માં તમને જે વિકારો આપણા અંદર થી દુર કરવા માટે જે બુક બનાવી છે તે વાચો ...
એક વાર તમારી અંદર .ભય,મોહ,ક્રોધ,ઇર્ષા,અહંકાર,અને વાસના આ ગુણ તમારા શરીર ની માનસિક ક્રિયા માં કે શારીરિક ક્રિયા માં નહી હોય અને જે નિસ્વાર્થ ,અને સમર્પણ ,અને પ્રેમ થી પરોપકારી જે કર્મ કરશો તો ચોક્કસ તમને પરમાત્મા જ્ઞાન ની શક્તિ પ્રદાન કરશે અને મોક્ષ ચોક્કસ થશે. ...
આ ના કરી શકો તો ભગવાન પાસે કઈક એવું માગો કે ભગવાન તમને એકલા ના મૂકે..
ભગવાન પાસે આપણને માગતાં પણ આવડતું નથી. આપણે ભગવાન પાસે એવી માગણી કરીએ છીએ કે મેં પાપકર્મ કરેલાં છે તેના ફળસ્વરૂપે મારી સામે દુઃખ આપવા પ્રારબ્ધ ખડું થયું છે તે ફળ મારે ભોગવવું ના પડે તેવું કરો. આવી ગેરવાજબી માગણી ભગવાન સ્વીકારે નહિ. પ્રારબ્ધ ભોગવવામાં ભગવાનની સિફારસ કે લાગવગનો ઉપયોગ ના કરાય. જગતમાં જે મહાન ભગવદ્ભક્તો થઈ ગયા છે, તેમણે તેમનાં પ્રારબ્ધમાં આવેલાં દુ:ખ પ્રેમપૂર્વક ભોગવી લીધાં છે; તેથી દુનિયાની દૃષ્ટિએ ભક્તો દુ:ખી થતા જણાયા છે. કુંતા માતા શ્રીકૃષ્ણની ફોઈ થતાં હતાં. તેમણે ઘણાં કષ્ટ સહન કર્યાં છે, છતાં તેમણે ભગવાન પાસે એવી માગણી કરેલી છે કે :
વિપદઃ સત્તુ નઃ શાશ્વત્ । 
અમોને સદાકાળ દુઃખ પડો. 
આપણે કોઈ દિવસ આવી માગણી કરતા નથી. 
નરસિંહ મહેતાએ ભગવાન પાસે માગણી કરી કે મારું નખ્ખોદ જજો. નરસિંહ, મીરાં, કુંતાજી - આ બધાં ભક્તો સંસારમાંથી દુઃખી થઈને ગયાં. 
નરસિંહ મહેતાનો દીકરો મરી ગયો અને દીકરી રાંડીને ઘેર આવી. બૈરું મરી ગયું. નાત- બહાર મુકાયા.
 મીરાં પોતાના પતિથી અલગ થઈ ગયાં. પતિએ ઝેર પાયું. 
સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ અસાધ્ય રોગથી પીડાયા. દેહના દંડ ભોગવી લીધા, 
પરંતુ આ ભક્તોએ પોતાની ભક્તિ વટાવી નથી, ભગવાન પાસે પ્રારબ્ધમાંથી છટકવા માગણી કરી નથી.
એક ચક્રવર્તી રાજાએ એક કંગાલ ગરીબ ભિખારીને કહ્યું કે તારે જે જોઈએ તે માગ. હું તને જે માગીશ તે હું તને આપીશ. ત્યારે પેલા ભિખારીએ રાજા પાસે માગ્યું કે મારું ભીખ માગવાનું ચપ્પણિયું ભાંગી ગયું છે તે નવું અપાવો. રાજાને આ સાંભળીને ઘણું જ દુઃખ થયું. ભિખારીને માગતાં ન આવડ્યું. અઢળક સંપત્તિ, ઈકોતેર પેઢી ચાલે તેટલું ધન માગ્યું હોત તોપણ રાજા આપત, પણ આ અક્કર્મી ભિખારીએ ભીખ માગવાનું નવું ચણિયું માગ્યું !

આપણે પણ ભગવાન પાસે આવી ક્ષુલ્લક માગણીઓ કરીએ છીએ, તેથી ભગવાન નારાજ થાય છે. આપણે ભગવાન પાસે બહુબહુ તો શું માગીએ છીએ ? પાંચ-પચીસ લાખ રૂપિયા માગીએ છીએ, પાંચ- પચીસ બંગલા-મોટો માગીએ છીએ, પાંચ દીકરાઓ માગીએ છીએ, સુંદર સ્ત્રીઓ માગીએ છીએ. આ બધી માગણીઓ પેલા ભિખારીના ચપ્પણિયા જેવી છે.

કુંતાજીએ અને ભક્ત નરસિંહે માગ્યું તેવું માગતાં આપણને નથી આવડવાનું. પરમાત્માએ વગર માગ્યે આપણને મનુષ્યદેહ આપ્યો છે, જે મોક્ષનું દ્વાર છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરવો તે શાસ્ત્રો અને સંતો દ્વારા તેમણે સમજાવ્યું, પરંતુ આપણે પામર જીવો આપણો સ્વાર્થ સમજતા નથી, તેથી પ્રારબ્ધમાંથી છટકવાની ક્ષુલ્લક માગણી આપણે ભગવાન પાસે કરીએ છીએ, ત્યારે ભગવાન નારાજ થાય છે. આપણે ખરેખર અભાગિયા છીએ. 
સંચિત કર્મમાંથી કેવી રીતે છૂટવું?

આગળ જોઈ ગયા તેમ કર્મયોગ દ્વારા ક્રિયમાણ કર્મને નિયંત્રિત કરી શકાય અને છુટાય, ભક્તિયોગ દ્વારા પ્રારબ્ધકર્મ ભોગવીને છુટાય, પરંતુ સંચિત કર્મમાંથી કેવી રીતે છૂટવું તે ગંભીર સવાલ છે, 
કારણ કે ક્રિયમાણ કર્મ કરવામાં તો માણસમાત્ર સ્વતંત્ર છે અને તેને નિયંત્રિત કરવાં તે તેના હાથની વાત છે. તે જો ધારે તો ચોક્કસ કરી શકે. પ્રારબ્ધ- કર્મ પણ સામી છાતીએ આવીને ઊભાં છે. તેમને તો જીવનકાળ દરમિયાન ભોગવીને ખતમ કરી શકાય, પરંતુ સંચિત કર્મ તો હજુ પાકીને ફળ આપવા તૈયાર થયાં જ નથી, તે સામે આવીને ખડાં થયાં નથી. વળી તે તો થઈ ગયેલાં ક્રિયમાણ કર્મો છે, એટલે તે પાછાં નથી  કરી શકાતાં ..

એક વખત થૂંકેલું જેમ પાછું ગળી શકાતું નથી, એક વખત બોલાઈ ગયેલું વચન જેમ પાછું ખેંચી શકાતું નથી, એક વખત બંદૂકમાંથી ગોળી છૂટી તે જેમ બંદૂકમાં પાછી આવતી નથી, તેવી રીતે એક વખત ક્રિયમાણ કર્મ થઈ ગયું અને તે સંચિતમાં જમા પડ્યું છે, આ જીવનકાળ દરમિયાન પાકીને પ્રારબ્ધરૂપે સામે આવીને ખડું થયું નથી, તેને ભોગવીને પણ છુટાય નહિ. એટલે એવાં સંચિત કર્મો ભોગવવા હવે પછી દેહ ધારણ કર્યા સિવાય છૂટકો થાય જ નહિ. આ સંચિત કર્મો એટલાં થોડાં નથી કે જે એક જન્મમાં ભોગવી લઈએ તો છાલ છૂટે.
અનાદિકાળથી અનેક જન્મોનાં સંચિત કર્મ અસંખ્ય કરોડ હિમાલય જેવા ડુંગરા ભરાય તેટલાં જીવની પાછળ પડ્યાં છે અને તે પાકતાં જાય છે તેમતેમ પ્રારબ્ધરૂપે ભોગવતાં જઈએ તોપણ અનંતકાલ સુધી અબજોના અબજો દેહ ધારણ કરીએ તોપણ તે ખૂટે તેમ નથી, તો પછી આમાંથી છૂટવું કેવી રીતે ? 
કારણ કે આ સંચિત કર્મો અનંતકાલ સુધી જીવને જન્મ-મરણના ચક્કરમાં ફેરવ્યા જ કરે તેટલાં બધાં છે. અને તો પછી જીવનો મોક્ષ થવો બિલકુલ અસંભવિત બની જાય. જ્યાં સુધી દેહ ધારણ કરવો પડે ત્યાં સુધી મોક્ષ થયો ગણાય નહિ. આવી પરિસ્થિતિથી ગભરાવાની જરા પણ જરૂર નથી.
જો જીવ ધારે તો આ ચાલુ જીવનકાળ દરમિયાન જ તમામ સંચિત કર્મોને ખતમ કરી શકે છે, પરંતુ તે ભોગવીને ખતમ કરી શકાય તેમ નથી. માટે તેને માટે એક જ ઉપાય છે કે સંચિત કર્મોના જે આટલા મોટા ડુંગરો ભરેલા છે તેમાં માત્ર એક જ દીવાસળી ચાંપી દેવાથી તે તમામ ભસ્મસાત્ થઈ જશે. આ ભયંકર ડુંગરોમાં અગ્નિ લગાડ્યા સિવાય બીજા કોઈ પણ ઉપાયે અને કોઈ કાળે આટલાં બધાં સંચિત કર્મો ખતમ થવાનાં નથી અને તે અગ્નિ તે જ્ઞાનાગ્નિ’ છે. જેમ કર્મયોગ દ્વારા ક્રિયમાણ કર્મો નિયંત્રિત કરી શકાય અને ભક્તિયોગ દ્વારા પ્રારબ્ધકર્મોને પૂરેપૂરાં ભોગવી લેવાય તેમ જ્ઞાનયોગ દ્વારા અનાદિકાળથી અનેક જન્મજન્માંતરનાં એકઠાં થયેલાં સંચિત કર્મોન ભસ્મસાત્ કરી શકાય; તેમ કરીને કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ દ્વારા જીવમાત્ર તમામ ક્રિયમાણ, પ્રારબ્ધ અને સંચિત કર્મોથી મુક્ત થઈને આ જ જીવનકાળને અંતે ચોક્કસ મોક્ષ પ્રાપ્ત કરી શકે. સંચિત કર્મોને જ્ઞાનાગ્નિથી બાળીને ભસ્મ કરવાનાં છે. ભગવાને પણ ગીતામાં સ્પષ્ટ કહ્યું છે :

યથૈધાંસિ સમિસ્રોગ્નિઃ ભસ્મસાત્ કુરુતેઽર્જુન ।

જ્ઞાનાગ્નિઃ સર્વકર્માણિ ભસ્મસાત્ કુરુતે તથા ।। જેમ અગ્નિમાં નાખેલાં તમામ પ્રકારનાં જાડાં, પાતળાં, સૂકાં, લીલાં, લાંબાં, ટૂંકાં - બધાં જ લાકડાં બળી જાય છે તેવી જ રીતે જ્ઞાનાગ્નિમાં નાખેલાં તમામ પ્રકારનાં અશુભ, શુભ, ક્રિયમાણ, પ્રારબ્ધ તથા તમામ સંચિત કર્મો બળીને ખાખ થઈ જાય છે અને જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે, એટલે કે જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થાય છે. 
  પણ સવાલ કે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય ?
જીવ પોતાના અસલ સ્વરૂપને ભૂલી ગયો છે. જીવ બ્રહ્મનો જ અંશ છે. બ્રહ્મ સચિત્-આનંદસ્વરૂપ છે, માટે જીવ પણ સચિત્- આનંદસ્વરૂપ જ છે, પરંતુ જીવને તેનું ભાન નથી, તેથી જન્મમરણના ચક્કરમાં ભટકે છે.
ભગવાન ગીતામાં કહે છે કે :
મમેવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ । (ગી. ૧૫/૭) જીવ બ્રહ્મનો અંશ હોવા છતાં, મુક્ત હોવા છતાં, માયાના વશમાં આવી જઈને બદ્ધ થઈ ગયો છે.

જીવને પોતાના સ્વરૂપનું યથાર્થ ભાન થાય તેનું જ નામ શાન અને જ્ઞાન થતાંની સાથે જ તેનાં તમામ સંચિત કર્મો બળીને સાફ થઈ જાય. જીવને સ્વરૂપનું ભાન થવું બહુ કઠણ છે. તે તો કોઈ સમર્થ ગુરુ મળે તો જ જ્ઞાન પ્રાપ્ત થાય.. ઉ.. દા..
. સિંહનું એક નાનું બચ્ચું જન્મતાંની સાથે જ તેની માથી વિખૂટું પડી ગયું. ઘેટાંના એક ટોળાના માલિક ભરવાડે આ બચ્ચાને ઘેટાંના ટોળા ભેગું ઉછેરીને મોટું કર્યું. આ સિંહનું બચ્ચું કાયમ ઘેટાંના ટોળા ભેગું ફરતું હતું   અને અજ્ઞાનને વશ થઈને પોતાની જાતને ઘેટું જ માનવા લાગ્યું. હું ઘેટું જ છું તેવી તેની દૃઢ માન્યતા બંધાઈ ગયેલી. એક વખત સિંહ ફરતો ફરતો ઘેટાના ટોળા નજીક આવ્યો, જેમાં આ સિંહનું બચ્ચું હતું. સિંહને જોઈને ઘેટાંનું ટોળું ભાગ્યું. પેલા સિંહને આશ્ચર્ય થયું કે આ બધાં ઘેટાં ભેગું મારી જાતનું આ સિંહનું બચ્ચું ઘેટાંની માફક કેમ ભાગે છે ? સિંહે પેલાં બધાં ઘેટાંને જતાં કર્યાં અને સિંહના બચ્ચાને જ પકડ્યું. સિંહનું બચ્ચું કરગરવા માંડ્યું કે ‘ભાઈસા’બ, હું ઘેટું છું અને મને મારી ના નાખશો.
સિંહે કહ્યું : “અરે ભાઈ ! તું ઘેટું નથી. તું તો મારી જાતનું સિંહનું બચ્ચું છે. તારે મારાથી ડરવાનું ના હોય. હું તને મારી ખાઉં નહિ. પરંતુ સિંહનું બચ્ચું માન્યું નહિ. તેને વિશ્વાસ પડ્યો નહિ. તે તો
એમ જ કહેવા લાગ્યું કે : હું ઘેટું છું - ઘેટું જ છું. મને ના મારશો.'પછી પેલો સિંહ તેને એક તળાવના કિનારે લઈ ગયો અને કહ્યું કે : ‘આ તળાવના પાણીમાં તારું મોં જો તારું ને મારું મોં એકસરખું આવે છે કે નહિ ? હું ત્રાડ નાખું એવી ત્રાડ તું નાખ.'
પેલા બચ્ચાએ સિંહના જેવી ત્રાડ નાખી. તેને તેના અસલ સ્વરૂપનું ભાન થયું. તે જ વખતે તે ભયમુક્ત થઈ ગયું અને સિંહની સાથે ચાલ્યું ગયું. બસ, બરાબર એ જ દશા જીવની છે.
જેમ સૂર્યમાંથી કિરણો છૂટાં પડીને સમગ્ર જગતમાં ફેલાય છે તેમ જીવ પણ અનાદિકાળથી બ્રહ્મથી છૂટો પડી ગયો છે. વાદળમાં રહેલું પાણી બિલકુલ ચોખ્ખું  હોય છે. તે વાદળમાં ક્ષોભ થવાથી બિંદુઓ છૂટાં પડીને પૃથ્વી ઉપર પડે છે. આકાશમાંથી પૃથ્વી ઉપર આવતાં એમાં ઑક્સિજન, નાઈટ્રોજન વગેરે ભળે છે. પૃથ્વીને અડકતાં તે બિંદુઓ ધૂળમાં ભળી મિલન બને છે. એવાં અનેક બિંદુઓ મળીને નદી થાય છે અને પૃથ્વીનાં અનેક ક્ષારો અને મલિન તત્ત્વો ભેગાં કરતાં-કરતાં સમુદ્રને મળે છે, ત્યારે તો સમુદ્રનાં પાણી ખારાં-દવ થઈ ગયાં હોય છે. પછી જ્યારે સૂર્યનાં પ્રખર કિરણોના તાપથી બાષ્પીભવન થાય ત્યારે જ ઊર્ધ્વગતિ થઈને વાદળરૂપે તેમના અસલ સ્થાને પવિત્ર બને છે. એ જ પ્રકારે જીવ બ્રહ્મમાંથી છૂટો પડેલો છે તે જગતની માયાના સંપર્કમાં અવિદ્યાવશ મલિનતાને પ્રાપ્ત કરે છે.ગોસ્વામીજી રામાયણમાં આ વાતને એક જ લીટીમાં સમજાવે છે ભૂમિ પરત ભા ડાબર પાની, જીમી જીવહી માયા લપટાની ॥ સિંહની માફક કોઈ સમર્થ ગુરુ સિંહના બચ્ચારૂપી જીવને મળે તો જ તેને સાચા સ્વરૂપનું ભાન થાય, પછી તે તેનાં તમામ કર્મોના ભયથી મુક્ત બની જાય છે.
ગોસ્વામીજી આ જ વાતને રામાયણમાં લખે છે કે : 

ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશી | સો માયાબશ ભયઊ ગોસાંઈ, બધ્યો કીર મર્કટકી નાઈ 
અરે ! તું સિંહનું બચ્ચું છે, તું ઘેટું નથી. તું સચિત્ આનંદસ્વરૂપ છે, આ દેહ તારું સ્વરૂપ નથી - એવું જ્ઞાન કોઈ સમર્થ ગુરુ કરાવે તો જ બેડો પાર થાય. સ્વરૂપનું જ્ઞાન થતાં જ સંચિત કર્મો તાત્કાલિક ભસ્મ થઈ જાય છે. આ વાત આપણા સર્વના અનુભવથી પણ સિદ્ધ કરી શકાય.
એક માણસ રાત્રે ૧૨ વાગ્યા સુધી તેની પત્ની સાથે વાતો કરતો હતો અને પછી તેની આંખ મળી ગઈ. તેને ઊંઘ આવી. તરત જ તેને સ્વપ્ન શરૂ થયું. સ્વપ્નમાં તેણે એક માણસનું ખૂન કરી નાખ્યું. તેનો ત્રણ વરસ સુધી કેસ ચાલ્યો. (રાત્રે બાર અને સાડાબારની વચમાં.) પછી આ માણસને દસ વરસની સખત જેલની સજા થઈ. તે કેદમાં પડ્યો. (ખરેખર તો તે પથારીમાં ગોદડાં પાથરી પડ્યો હતો.) જેલર તેને દરરોજ બરડામાં કો૨ડાના ફટકા લગાવતો હતો તેથી તેનો બરડો દરરોજ લોહીલુહાણ થઈ જતો હતો. આ રીતે ત્રણ વરસની સજા તો તેણે ભોગવી. (રાત્રે બાર અને સાડાબારની વચમાં.)
એક દિવસ જેલરે ખૂબ ગુસ્સામાં આવીને તેને બરડામાં બહુ સખત કોરડા ફટકાર્યા અને આ માણસ ‘ઓ બાપ રે !’ કરીને રાડ પાડીને જાગી ગયો. તેની પત્નીએ ગભરાઈને પૂછ્યું કે શું થયું ? તો તેણે કહ્યું કે મારા
બરડા સામું તો જો, તે કેવો લોહીલુહાણ થઈ ગયો છે ! તેની પત્નીએ કહ્યું કે તમે તો પથારીમાં બે ગોદડાં પાથરીને સૂતા છો અને તમારો બરડો બિલકુલ સલેપાટ જેવો સુંવાળો છે. કશું જ થયું નથી. ત્યારે પેલો માણસ સ્વપ્નાવસ્થામાંથી જાગ્રત-અવસ્થામાં આવી ગયો. તેને તેના પોતાના સ્વરૂપનું ભાન થયું કે તે ખૂની નથી પણ તે ખરેખર નિર્દોષ છે અને પછી તેણે પોતાની પત્નીને સ્વપ્નની વાત કરી કે તેની વિરુદ્ધ ખૂનનો ખટલો ત્રણ વર્ષ ચાલ્યો અને દસ વર્ષની સખત જેલની સજા થઈ. તેમાંથી ત્રણ વર્ષ તો ભોગવ્યાં.
તેની પત્નીએ કહ્યું કે રાત્રે બાર વાગ્યા સુધી તો આપણે વાતો કરતાં હતાં અને હાલમાં માત્ર સાડાબાર જ થયા છે. તે અડધા કલાક દરમિયાન તમે છ વર્ષ બીજે ક્યાં જઈ આવ્યા ?
તેને દસ વર્ષની સજા થઈ હતી. તેમાંથી ત્રણ વર્ષની સજા તો તેણે ભોગવી લીધી. હવે બાકીનાં સાત વર્ષની સજા કોણ ભોગવશે ? સ્વપ્નાવસ્થામાંથી જાગ્રતાવસ્થામાં આવતાંની સાથે જ તેનું બાકીની સાત વર્ષની જેલની સજાનું સંચિત કર્મ ભસ્મસાત્ થઈ ગયું, કારણ કે તેને સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું.
   આમ આ બધું વર્થ થઈ જશે જે દિવસે તમને કર્મ નો સાચો અર્થ સમજાય જશે જે દિવસે તમારા અંદર કર્મ.ભક્તિ અને જ્ઞાન ની પ્રાપ્તિ થઈ તો સમજો કે તમારા ભેગા થયેલા સંચિત કર્મ અને પાપ બધું મુક્ત બળી ને ખાક થય જશે અને પાછું આ જીવ ને જન્મ મરણ ના ફેરા માં પડવું નહી પડે અને મોક્ષ મળશે. 
     અને આમ કરવા થી જ આ જીવ ને આપને મુક્ત કરાવી શકશું..મનુષ્ય દેહ મળવાનો એકજ ઉદ્દેશ હોય છે કે આ જીવ ને કર્મ ના બંધન માં થી મુક્ત કરીયે...
રાધે.... રાધે 
🙏 આભાર🙏
                                      _સોલંકી મનોજભાઈ
                                          8401523670

ભૂત કાળ માં કરેલા પાપ ને કેવી રીતે સુધારી શકાય...

દરેક માણસનું સ્વકર્મ - નિયત કર્મ નક્કી થયેલું હોય છે. બાળક જન્મતાંની સાથે જ પોતાનું સ્વકર્મ - સ્વધર્મ જાણે છે. તે ભૂખ્યું થાય ત્યારે કઈ જગ્યાએ ધાવતું, કેવી રીતે ધાવવું, કેવી રીતે દૂધ ચૂસવું તે બરાબર જાણે છે અને તેની પાછળ પરમાત્માની અલૌકિક પ્રે૨ણાનું બળ હોય છે. માતા તો ફક્ત પોતાનું સ્તન બાળકના મોંમાં મૂકે છે, પરંતુ દૂધ ચૂસવાનું -ધાવવાનું ,સ્વકર્મ - સ્વધર્મ તરતનું જન્મેલું બાળક પણ પરમાત્માની પ્રેરણાથી જાણે છે અને તે પ્રમાણે તે પોતાનું નિયત કર્મ સ્વભાવને વશ વર્તીને કરે છે. તેમાં માતાએ શીખવવાની જરૂ૨ પડતી નથી. ઘોડાને તરસ લાગી હોય ત્યારે કેવી રીતે પાણી પીવું તે પોતાનું સ્વકર્મ - સ્વધર્મ જાણે છે અને જો તેને તરસ નહીં લાગી હોય તો તમે તેને પરાણે પાઈ શકશો જ નહિ.
તમે ઘોડાને નદીમાં લઈ જઈ શકો છો, પણ તમે તેને પીવડાવી શકતા નથી.
તે જ પ્રમાણે બાલ્યાવસ્થામાં ભણવું માણસનું સ્વકર્મ - નિયત કર્મ - સ્વધર્મ છે. ગૃહસ્થાશ્રમમાં નોકરી, ધંધો, વેપાર કરીને ન્યાયનીતિથી દ્રવ્યનું ઉપાર્જન કરવું, સ્ત્રી-પુત્રાદિકનું પાલનપોષણ કરવું અને સમાજના અન્ય આશ્રમવાસીઓની સેવા કરવી તે તેનું નિયત કર્મ છે. એવી જ રીતે વાનપ્રસ્થ અને સંન્યાસીનાં સ્વકર્મ, સ્વધર્મ, નિયત કર્મ નક્કી થયેલાં છે અને તેમણે તે-તે સ્વધર્મ, સ્વકર્મ નિષ્ઠાપૂર્વક ઈશ્વપ્રીત્યર્થ કરવાનાં છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના પણ સ્વધર્મ શાસ્ત્રોમાં નિયત થયેલા છે.
માતા-પિતા, પુત્ર, પતિ-પત્ની દરેકે પોતપોતાની મર્યાદામાં રહીને સ્વકર્મ, સ્વધર્મ, નિયત કર્મમાં વિક્ષેપ કરવાનો નથી અગર તો પોતાનો સ્વધર્મ બદલવાનો નથી.
શિયાળામાં ગરમ કપડાં પહેરવાં તે સ્વધર્મ છે. ઉનાળામાં ઠંડક રહે તેવો આહાર કરવો, ઠંડક રહે તેવાં કપડાં પહેરવાં તે સ્વધર્મ છે. ચોમાસામાં છત્રી ઓઢવી તે સ્વધર્મ છે. સવારમાં દાતણ કરવું, શૌચક્રિયા કરવી, બપોરે નોકરી-ધંધો-વેપાર વગેરે નિયત કર્મ કરવાં, રાત્રે ભગવત્સ્યરણ વગેરે કરવું - આવી રીતે દરેક ઋતુમાં, સમયમાં, કાળમાં અવસ્થામાં સ્વધર્મ બદલાતો જાય તે પ્રમાણે દેશ, કાળ, પરિસ્થિતિનો ખ્યાલ રાખીને દરેક માણસે પોતાનાં સ્વધર્મ - સ્વકર્મ - નિયત કર્મ અવશ્ય કરવાં જોઈએ.
પરંતુ સ્વ કર્મ છોડી ને જો પાપ કર્મ કર્યું તો પાપ કર્મ છોડ છે નહી અને જો પાપ કરવું જ હોય તો જાહેર માં કરો અને- પુણ્ય ચોરી છૂપી થી કરો ચોરી એક કળા છે. નૈતિકતાની દૃષ્ટિએ વિચાર ના કરીએ તો ચોરી એક જબરદસ્ત અઘરી કળા છે. ચોરીનો અર્થ એ છે કે એવી રીતે કાંઈક કરવું કે સંસારમાં ક્યાંય કોઈને કશી પણ ખબર ના પડે. ખબર પડી જાય તો ચોર ડફોળ કહેવાય.
      મારા ઘરમાં ચોર પેસે છે. ધોળા દિવસે પુષ્કળ અજવાળામાં પણ જે ચીજ મને ખોળવી મુશ્કેલ પડે તે રાત્રે અંધારામાં અને તે પણ અજાણ્યા ઘરમાં જરા પણ અવાજ કર્યા વગર ચોર તે વસ્તુને ખોળી કાઢે છે અને મને તેની ખબર પણ પડતી નથી અને જો ચોર કદાચ તેની કશીક નિશાની મૂકતો જાય ચોર હજુ કાચો છે - શિખાઉ છે તેમ ગણાય. હજુ તે પાકો ચોર ન ગણાય.
એવી જ રીતે પરમાત્માનો પ્રકાશ - જ્ઞાન મેળવવું તે પણ એક પ્રકારની અલૌકિક ચોરી છે. જો કોઈને ખબર પડી જાય કે તમે સત્યની ખોજમાં છો તો તે ખબર પડી જવી તે પણ સત્યની ખોજમાં બાધકરૂપ છે.
જિસસ ક્રાઈસ્ટ કહે છે કે તમારો ડાબો હાથ શું કરે છે તેની તમારા જમણા હાથને પણ ખબર ન પડવી જોઈએ અને તમારી પ્રાર્થના પણ એટલી. મૂક હોવી જોઈએ કે પરમાત્મા સિવાય બીજા કોઈને તે સંભળાય નહિ.
આપણી પ્રાર્થનાઓ તો પરમાત્માને સંભળાતી હશે કે કેમ, પરંતુ આડોશપાડોશમાં અને મહોલ્લામાં તો સંભળાતી હોય છે. કદાચ પરમાત્માને સંભળાય કે નહિ તેની આપણને કંઈ પડી નથી, પરંતુ પાડોશી સાંભળે તે ખાસ જરૂરી અને ઉપયોગી છે તેવું માનીને આપણે જોરશોરથી અને ઊંચા અવાજે બરાડા પાડીને પ્રાર્થના ગાઈએ છીએ. માણસ ધર્મ-પુણ્ય ઢોલ વગાડીને કરે છે અને અધર્મ-પાપ ચોરીછૂપીથી કરે છે.
સંતો અને શાસ્ત્રો કહે છે કે જેમ તમે પાપ ચોરીછૂપીથી સંતાઈને કરો છો તેવી રીતે ધર્મ-પુણ્ય પણ છાનામાના ચોરીછૂપીથી કરો. સંતો અને શાસ્ત્રો આ ઊંધી વાત કરતા હોય તેમ લાગે છે, પણ તે ઊંધી વાત નથી. તે બરાબર કહે છે કે પાપ ઉઘાડેછોગ કરો અને પુણ્ય ચોરીછૂપીથી કરો, કારણ કે પાપ જો તમે ઉઘાડેછોગ કરવા જશો તો તમે કદાપિ નહિ કરી શકો.
જે તમારે નથી કરવું છતાં કર્યું તેમ દેખાડો કરવો છે તે તમે ઢોલ વગાડીને જગજાહેર કરો છો અને જે તમારે ખરેખર કરવું જ છે તે તમે ચોરીછૂપીથી - કોઈને પણ ખબર ના પડે તેવી રીતે એકદમ કરી નાખો છો અને આમ કરવામાં જ તમે ગોથું ખાઓ છો.
તમારે પાપ ખરેખર ના કરવું હોય તો તમે તે પાપ ઉઘાડેછોગ કરવા માંડો તો તમે તે પાપ કરી શકશો જ નહિ અને તમારે પુણ્ય પણ ખરેખર ના કરવું હોય અને માત્ર ધોખાબાજી કરવી હોય તો તે પણ તમે ઉઘાડેછોગ કરો અને પછી જુઓ કે તમે લોકોને મૂર્ખ બનાવી શકશો, ડોળ કરી શકશો, પરંતુ તે સાચા અર્થમાં પુણ્ય નહીં કહી શકાય. પરંતુ લોકો જાણે કે તેમને પાપ કરવું જ છે, તેથી તે ચોરીછૂપીથી કરી લે છે. જ્યારે તેમને પુણ્ય કરવું નથી, માત્ર પ્રચાર કરવો છે, દંભ-ડોળ કરવો છે તેથી તે ઢોલ વગાડીને જગજાહેર કરે છે.
    પાપ અગર પુણ્ય જાહેર થતાંની સાથે જ તેનું ફળ તિરોહિત થઈ જાય છે 
તમે જે પુણ્ય કરો, દાન-સખાવત કરો અને પછી તેની જાહેરાત થાય, તમારો ફોટો અને વખાણ છાપામાં પ્રસિદ્ધ થાય, તમારા નામની તકતી લાગે, તમારાં પુણ્યકર્મ પ્રસિદ્ધ થાય કે તરત જ તેન ફળ ખતમ થઈ જાય. તે પુણ્યકર્મનું ફળ તમારાં વખાણ, ગાથા વગેરેના રૂપમાં તમને તાત્કાલિક મળી જાય અને પછી તે કર્મ વળી પાછું ફરીથી સંચિતમાં જમા થઈને પ્રારબ્ધ બનીને બીજી વખત ફળ આપવા - સુખ આપવા ઊભું રહે નહિ.
આ વાત તમે મગજ માં નાખી દો અને આ પુણ્ય તમને જરાય કામ નહી આવે ... ઉ. દા જુવો
‘. મહાભારત’માં યયાતિ રાજાની વાર્તા આવે છે. આ રાજાએ અસંખ્ય યજ્ઞ, દાન, તપ વગેરે પુણ્યકર્મો કર્યાં, જેના પ્રભાવે કરીને તે ઇન્દ્રની ગાદીએ બેસવાનો અધિકારી થયો, તેથી તે રાજા સ્વર્ગમાં ઇન્દ્રના દરબારમાં ગયો. ઇન્દ્ર ઊભો થઈ ગયો અને સિંહાસનથી હેઠો ઊતરી ગયો અને યયાતિ રાજાને ઇન્દ્રની ગાદીએ બેસાડ્યા. ઇન્દ્ર પોતે સિંહાસનથી નીચે ઊભો રહીને બે હાથ જોડીને રાજાએ કરેલાં યજ્ઞ, દાન,તપનાં વિગતવાર યશોગાન ભરસભામાં કરવા લાગ્યો. ઇન્દ્રે કહ્યું : “રાજન્ ! તમે અનેક હીરામાણેક અને મોતીનાં દાન કર્યાં છે.”
રાજાએ હકારમાં સંમતિસૂચક માથું હલાવ્યું. ઇન્દ્રે કહ્યું : “રાજન્ ! તમે સુવર્ણમહોરનાં દાન કર્યાં છે. તમે અસંખ્ય સોનાનાં શિંગડાંવાળી દુધાળી ગાયોનાં દાન કર્યાં છે. તમે અસંખ્ય વાવ, કૂવા, તળાવો, ધર્મશાળાઓ, વિશ્વવિદ્યાલયો, દવાખાનાં બંધાવ્યાં. તમે અસંખ્ય ધર્મક્ષેત્રો અને અન્નક્ષેત્રો ખોલ્યાં. તમે તમામ ગરીબોને અન્નવસ્ત્ર ભરપેટ આપ્યાં, જેથી તમારા રાજ્યમાં હવે કોઈ ગરીબ અને નિરક્ષર નથી. તમે અનેક યજ્ઞો કરાવ્યા અને ગૌબ્રાહ્મણ, ઋષિમુનિઓ, સંતોને ખૂબ સંતુષ્ટ કર્યા.” વગેરે વગેરે...
આવી રીતે રાજાએ કરેલા એકએક પુણ્યકર્મને ઇન્દ્ર ઊભાઊભા વિગતવાર ગણાવતા ગયા અને રાજા ઇન્દ્રની ગાદી ઉપર બેઠોબેઠો અહંકારમાં સંમતિસૂચક માથું હલાવતો ગયો. આવી રીતે રાજાનાં તમામ પુણ્યનું પૂરેપૂરું વર્ણન થયું અને રાજાએ સતત માથું હલાવતાં તમામ પુણ્યકર્મોની જાહેરાત - કબૂલાત કરી કે તરત જ ઇન્દ્રે રાજાને કહ્યું કે “આપ મહારાજા હવે ઇન્દ્રની ગાદી ઉપરથી હેઠે ઊતરી જાઓ, કારણ કે આપનાં તમામ પુણ્યકર્મ જાહે૨ થઈ ગયાં, એટલે હવે તે તમામ પુણ્યકર્મનાં ફળ ખતમ થઈ ગયાં, માટે હવે તમે ઇન્દ્રની ગાદી ઉપર બેસવાના અધિકારી મટી ગયા છો. તમારાં પુણ્યકર્મના ફળ- સ્વરૂપે ઇન્દ્રની ભરીસભામાં તમારી વાહવાહ બોલાઈ ગઈ. તમારાં ખૂબખૂબ વખાણ - ગુણગાન ગવાઈ ગયાં તે જ તમારાં પુણ્યોનું ફળ તમને મળી ગયું અને તે રીતે પુણ્યકર્મ તમને તાત્કાલિક ફળ આપીને શાંત થઈ ગયાં. હવે તે કર્મો સંચિતમાં જમા થવાનાં રહ્યાં નહિ અને પ્રારબ્ધ બનીને તે કર્મો તમને ફરીથી ફળ આપવા આવશે નહિ.'જો પુણ્ય કર્મ જાહેર કરવાં માં આવે તો તેનું ફળ સમાપ્ત થતું હોય તો પાપ કર્મ તમે જાહેર કરી જુવો તમારા પાપ કર્મ પણ સમાપ્ત થઇ જશે...આમ પાપકર્મ ને જો તમે જાહેરાત કરો તો તે પણ ખતમ - તિરોહિત થઈ જાય.. ઉ.દા જુવો
. મહાત્મા ગાંધીજીએ નાનપણમાં જે પાપકર્મો કર્યાં - પટાવાળાની બીડીઓનાં ઠૂંઠાં ફૂંક્યાં, માંસ ખાધું, વેશ્યાને ઘેર ગયા, બાપના ખિસ્સામાંથી ચોરી કરી, બાપના મૃત્યુની છેલ્લી ઘડીઓ ગણાતી હતી તે વખતે પણ વિકારને વશ થઈને પત્ની સાથે સહશયન કર્યું વગેરે જે પાપકર્મો તેમણે કરેલાં તે તમામ તેમણે તેમની આત્મકથામાં કબૂલાત કરીને જગજાહેર કર્યાં, એટલે તેમનાં તે પાપકર્મોનું ફળ નષ્ટ - તિરોહિત થઈ ગયું. તેવી રીતે ઠક્કરબાપા, ભિક્ષુ અખંડાનંદ વગેરે સંતોએ પણ પોતે પરસ્ત્રીગમન કર્યાંનાં પાપકર્મોનું તેમની જીવનકથામાં હિંમતપૂર્વક નિખાલસભાવે વર્ણન કરેલું છે. તે રીતે તેઓ તે પાપકર્મનો પશ્ચાત્તાપ કરીને તેના અશુભ ફળથી મુક્ત થયા છે અને તેમના હૃદયનો ભાર મનોવ્યથા ભોગવીને હળવો કરેલો છે.
મહર્ષિ વ્યાસે જાહેર કર્યું કે મારી મા હલકી વર્ણની માછીમારની છોકરી હતી. તેમણે કદાચ એમ જાહેર કર્યું હોત કે મારી મા ભાવનગરના કોઈ નાગરની કન્યા હતી તોપણ કોણ તેમને ખોટા ઠરાવવાનું હતું ? નારદજીએ શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે મારી મા સંન્યાસીઓના આશ્રમમાં લૂગડાં-વાસણ ધોવાનું અને કચરોપૂંજો કાઢવાનું કામ કરતી હતી અને સંન્યાસીઓનું એઠું-જૂઠું ખાતી હતી. મહાન પુરુષોએ - સંતોએ પોતાની એબ ચોખ્ખા હૃદયથી જાતે કરીને હિંમતપૂર્વક ઉઘાડી કરી છે અને તેમાં તેમણે લોકનિંદાની કોઈ પરવા કરી નથી, પરંતુ તેમાં તેમણે સાચી વાતની રજૂઆત હિંમતપૂર્વક કરી છે અને તેથી જ સંસારમાં કોઈ તેમની નિંદા કરવાની હિંમત કરી શકતું નથી. જ્યારે આપણે તો પાપકર્મ સંતાડ-સંતાડ કરીએ છીએ અને તેથી જ આપણે ચોરીછૂપીથી કરેલાં પાપનાં ફળ રોતેરોતે ભોગવીએ છીએ. 
દુનિયા નું દેખીતું અને સત્ય ઉ.દા પણ જુવો..

સતી રાણી તોરલ જેસલ જાડેજાને કહે છે કે : પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે
તારી હોડલીને બૂડવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ કહે છે જી. અને જેસલ જાડેજા પણ પોતાનાં પાપ જાહેર કરતાં કહે છે કે : લૂંટી કુંવારી નાર સતી રાણી, લૂંટી કુંવારી નાર રે
વન કેરાં મોરલા મારિયા તોરલદે રે
એમ જેસલ કહે છે જી. જેટલા માથાના વાળ સતી રાણી, જેટલા માથાના વાળ રે તેટલાં કુકર્મો મેં કર્યાં તોરલદે રે એમ જેસલ કહે છે જી.
વગેરે વગેરે.
આમ તમામ પાપ કર્મ જેને સતી તોરણ સામે જાહેર કર્યા અને તેના પાપ ધોવાયા..
માણસમાત્ર ભૂલને પાત્ર છે. અનેક જન્મજન્માંતરની વાસનાઓ અને કામનાઓ અંતઃકરણના પટ ઉપર લેપાયેલી પડેલી છે, તેના જોરથી કદાચ માણસ ઘોર પાપકર્મો કરી બેસે, પરંતુ જો તે તેના ખરા અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપ કરીને ભગવાન સામે બે હાથ જોડીને ઊભોઊભો નાનું બાળક રડે તેમ ધ્રુસકે ને ધ્રુસકે આંખોમાંથી ડબકડબક આંસુ નીકળતાં હોય તેમ પોક મૂકીને રડી પડે તો ભગવાન તેની જીવનનૌકાને સંસારસાગરમાં ડૂબકાં ખાતી અચૂક બચાવી લે. ભગવાને એક લાખ રૂપિયાના સ્ટૅમ્પ ઉપર દસ્તાવેજ લખાણ કરી
આપીને ગીતામાં છાતી ઠોકીને હિંમત આપતાં કહ્યું છે કે : અપિ ચેત્ સુદુરાચારઃ ભજતે મામ્ અનન્યભાગ્। સાધુરેવ સ મંતવ્યઃ સમ્યગ્ વ્યવસિતો હિ સઃ II ક્ષિપ્રં ભવતિ ધર્માત્મા શશ્વત્ શાંતિ નિગચ્છતિ । કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ || તેષાં અહં સમુદ્ધર્તા મૃત્યુસંસારસાગરાત્ । ભવામિ ન ચિરાત્ પાર્થ મય્યાવેશિતચેતસામ્ ।। (ગી. મહાનમાં મહાન પાપી પણ મારી આગળ પાપનો પશ્ચાત્તાપ કરીને રડી પડે તો હું તેને તાત્કાલિક સંસારસાગરમાં ડૂબતો બચાવી લઉં છું. તેનો હું નાશ થવા દેતો નથી. આવી હિંમત ભગવાન સિવાય બીજું કોણ આપી શકે ?
માળા નહિ ફેરવીએ, રામનામ ના લઈએ, ચંડીપાઠ ના કરીએ, ગીતાનું પારાયણ ન કરીએ, ભાગવત સપ્તાહ ના સાંભળીએ તો ચાલે, પરંતુ માત્ર આપણે પોતે અત્યાર સુધી કરેલાં તમામ પાપોનું એક લિસ્ટ આપણે જાતે બનાવીએ (કારણ કે આપણે કરેલ એકેએક પાપ આપણા સિવાય બીજું કોઈ જાણતું નથી.) અને તે પાપોનું લિસ્ટ ભગવાનની પાસે બેસીને ઊંડા પશ્ચાત્તાપ સાથે દરરોજ વાંચી જઈએ તો પવિત્ર થઈ જઈએ. પરંતુ આપણે હિક્કડ હૈયાના આટલું કરવા તૈયાર નથી. માત્ર માળા ફેરવવાનો, પારાયણ કરવાનો દંભ કરીને દુનિયાને ઠગવા નીકળ્યા છીએ અને તેથી જ હસતાં-હસતાં કરેલાં પાપકર્મના ફળરૂપે દુઃખ રોતાં-રોતાં પેટ ભરીને ભોગવીએ છીએ.....

જુલાઈ 29, 2023

કારેલા કર્મ ભોગવવા પડે

. કરેલાં કર્મો ભોગવવાં જ પડે ઃ

કર્મ કર્યું કે તેનું ફળ ચોટ્યું જ સમજી લો. પછી તમે ફળ ભોગવવામાંથી છટકી શકો જ નહીં છટકવા ગમે તેટલા ઉધામા કર્યો તોપણ ફળ ભોગવ્યા સિવાય કર્મ શાંત થાય નહિ, તમારી પાછળપાછળ ફળ ભમ્યા કરે, ભોગવીને જ છુટકારો કરે. કદાચ તમે બુદ્ધિશાળી હો અને આ દુનિયાની કૉર્ટમાંથી સારા વકીલ રોકીને છટકો, પણ ઉપલી સુપ્રિમ કૉર્ટ - કુદરતની કૉર્ટ તમને ઝાલી પાડે, છોડે નહિ. ત્યાં કોઈ વકીલની દલીલ કે સિફારસ ના ચાલે.

ઘણાં વર્ષ પહેલાંની વાત છે. અમદાવાદમાં એક પ્રખર વિદ્વાન સેશન્સ જજ હતા. જાતે નાગર બ્રાહ્મણ અને ચુસ્ત વેદાંતી. કર્મના કાયદાના અઠંગ અભ્યાસી, સાબરમતી નદી પાસે રહેતા હતા. એક સવારે પરોઢિયે મળસકામાં થોડા અંધારામાં નદીના વાંઘામાં

કુદરતી હાજતે જવા બેઠેલા. ત્યાં નજીકમાંથી એક માણસ દોડતો હતો.

તેની પીઠમાં પાછળથી આવતા માણસે ખંજરનો ઘા કર્યો એટલે

આગળનો માણસ ઢળી પડ્યો અને તત્કાળ મૃત્યુ પામ્યો. આ દૃશ્ય જજે

નજરોનજર - પ્રત્યક્ષ જોયું. ખૂની ભાગી ગયો, તેને પણ સેશન્સ જજે

બરાબર ઓળખી લીધો.

સેશન્સ જજ ઘેર આવ્યા, પણ આ બનાવની કોઈને કશી વાત કરી નહિ, કારણ કે આ ખૂનનો કેસ છેવટે તો તેમની કૉર્ટમાં જ આવવાનો હતો. પછી પોલીસ ઇન્ક્વાયરી શરૂ થઈ. છ મહિનામાં સંપૂર્ણ ઇન્ક્વાયરી પૂરી થઈ. ખૂનનો કેસ દાખલ કર્યો. સેશન્સ જજે જોયું તો ખરેખરો ખૂની તેમણે તે દિવસે પ્રત્યક્ષ જોયો હતો તેને બદલે કોઈ બીજા જ ભળતા માણસને પોલીસે તહોમતદાર તરીકે રજૂ કરેલો !

પછી કેસ ચાલ્યો, જડબેસલાક પુરાવા પડ્યા અને બનાવટી તહોમતદાર ખરેખર ખૂની સાબિત થયો. સેશન્સ જજ ચોક્કસ જાણતા હતા કે આ બનાવટી તહોમતદાર ખરેખર ખૂની નથી, પણ પુરાવાના  કાયદા મુજબ ન્યાયાધીશે પુરાવાના આધારે જજમેન્ટ આપવું પડે. તેમાં ન્યાયાધીશનો પોતાનો અનુભવ કામ લાગે નહિ. એટલે બનાવટી તહોમતદારને સજ્જડ પુરાવાના આધારે ખૂની ઠરાવીને ફાંસીની સજા ફરમાવવાની સેશન્સ જજને ફરજ પડે તેમ હતું, પરંતુ આ સેશન્સ જજ પ્રખર વેદાન્તી અને ઈશ્વરના કર્મના કાયદાના પાકા અભ્યાસી હતા. તેમને લાગ્યું કે ખરો ખૂની છટકી જાય છે અને નિર્દોષ બનાવટી તહોમતદાર માર્યો જશે, એટલે કૉર્ટમાં ખૂનની સજાનો હુકમ ફરમાવતાં પહેલાં સેશન્સ જજે પેલા બનાવટી તહોમતદારને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો.

બનાવટી તહોમતદાર રડી પડ્યો અને કહ્યું કે હું તદ્દન નિર્દોષ છું, મેં ખૂન કર્યું નથી અને હું ખોટો માર્યો જાઉં છું, કારણ કે પોલીસને સાચો ખૂની જડ્યો નહિ, તેથી મને પહેલાંના મારા ખાનગી અહેવાલોના આધારે પોલીસે મને પકડીને મારી વિરુદ્ધ સજ્જડ પુરાવો ઊભો કરી દીધો છે અને કૉર્ટની દૃષ્ટિએ કાયદા મુજબ હું ખૂની પુરવાર થયો છું.

સેશન્સ જજે કહ્યું કે આ હકીકત હું બરાબર જાણું છું. સાચો ખૂની મેં નજરોનજર જોયો છે, તેને હું ઓળખું છું અને તું નિર્દોષ છે તે પણ હું બરાબર જાણું છું, પરંતુ મારા જજમેન્ટમાં હું આ વાત કાયદેસર લાવી શકતો નથી. કાયદો પુરાવાના આધારે ચાલે છે અને પુરાવો સંપૂર્ણ રીતે તારી વિરુદ્ધ પડેલો હોવાથી હું તને કાયદેસર ખૂની ઠરાવીને ફાંસીની સજા કરીશ, પરંતુ ઈશ્વરે બનાવેલ કર્મના કાયદામાં ક્યાંક ગફલત તો નથી થઈ ને ? - તેની ખાતરી કરવા હું તને ખાનગીમાં એક સવાલ પૂછું તેનો તું મને બિલકુલ સાચો જવાબ આપજે. હવે મરતી વખતે જરા પણ જૂઠું બોલીશ નહીં. મારો સવાલ એ છે કે ભૂતકાળમાં તેં કોઈ વખત કોઈનું ખૂન કરેલું ખરું ?

બનાવટી તહોમતદારે ગળગળા સાદે ઈશ્વરને માથે રાખીને સાચેસાચું કહી દીધું કે મેં ભૂતકાળમાં બે ખૂન કરેલાં અને તેના કેસ ચાલેલા, પરંતુ તે વખતે મેં હોશિયાર વકીલો રોકેલા અને ખૂબ પૈસા પોલીસખાતામાં વેરેલા તેથી હું બંને કેસોમાં તદ્દન નિર્દોષ છૂટી ગયેલો, પરંતુ આ કેસમાં હું ખરેખર નિર્દોષ હોવા છતાં માર્યો જાઉં છું. સેશન્સ ને ગડ બેસી ગઈ કે ઈશ્વરના કર્મના કાયદામાં ક્યાંય ગફલત નથી. પહેલાં બે ખૂન વખતે તહોમતદારનું પુણ્ય તપતું હશે, તેથી તેનાં ક્રિયમાણ કર્મોને ફળ આપવામાં વાર લાગી અને તે કર્મ સંચિતમાં જમા રહ્યું અને હવે જ્યારે તેનું પુણ્ય પરવારી રહ્યું ત્યારે પાછલાં બે ખૂનના ફળસ્વરૂપે તે સંચિત કર્મ પાક્યાં અને આ કેસમાં નિર્દોષ હોવા છતાં અક્કર-ચક્કરમાં ઝડપાઈ ગયો અને સંચિત કર્મો પાકીને પ્રારબ્ધરૂપે તેની સામે ઊભાં રહ્યાં ને એને ફાંસીને માંચડે લટકાવી દીધો.

કર્મના કાયદામાં વકીલ - જજની હોશિયારી કે સિફારસ ચાલે નહિ. કદાચ પુણ્ય તપતું હોય અગર ક્રિયમાણ કર્મ પાકતાં વાર લાગે તે દરમિયાન જગતની દૃષ્ટિએ ગુના કરવા છતાં ફાવી જતો લાગે, પણ સંચિત કર્મો લાગ આવ્યે પાકીને પ્રારબ્ધ થઈને સામાં આવે જ અને ફળ અપાવીને જ શાંત થાય.

માટે કર્મ કરતાં પહેલાં હજાર વખત વિચાર કરવો જોઈએ. કર્મ થઈ ગયા પછી તેના ફળમાંથી છટકવા ખોટાં ફાંફાં મારવાં નહિ, પરંતુ જ્યારે તે કર્મ પાકીને પ્રારબ્ધ થઈને સામું આવે ત્યારે તેને સામી છાતીએ સહર્ષ ઝીલી લેવું અને ભોગવી લેવું, નહિ તો હસતે-હસતે કરેલાં પાપ રોતે-રોતે પણ ભોગવવાં પડશે જ.

રાજા પરીક્ષિત મહાજ્ઞાની, વિદ્વાન અને સંસ્કારી હતો, પરંતુ તેનાથી એક મહાન પાપ થઈ ગયું. ક્રોધના આવેશમાં એક નિરપરાધી ઋષિના ગળામાં એણે મરેલો સાપ પહેરાવી દીધો. રાજા ઘેર આવીને શાંત થતાં જ તેને તેના દુષ્કૃત્યનો ખ્યાલ આવી ગયો અને તે પોકારી ઊઠ્યો :

અહો મયા નીચમનાર્યવત્ કૃતમ્ । નિરાગસિ બ્રહ્મણિ ગૂઢતેજસ ||

અરેરે ! મારાથી ભયંકર નીચ કર્મ થઈ ગયું.' આ ક્રિયમાણ કર્મના ફળસ્વરૂપે તક્ષક નાગના કરડવાથી મરણ પામવાનું તેનું પ્રારબ્ધ નિર્માણ થયું, પરંતુ આ ફળ ભોગવવામાંથી છટકવા તેણે લાગવગ લગાડવાનો અગર તો પોતાની સત્તાનો ઉપયોગ કરવાનો જરા પણ પ્રયાસ ન કર્યો. તેણે ભગવાનને એવી પ્રાર્થના ન કરી કે હે ભગવાન શ્રીકૃષ્ણ ! મારો દાદો અર્જુન અને તમે બંને મામા-ફોઈના દીકરા ભાઈ હતા. વળી તમે બંને સાળા-બનેવી થતા હતા, તે હિસાબે તમે મારા ઘણા નજીકના સગા થાઓ છો. વળી મારા દાદા અર્જુન તમારા પરમપ્રિય ભક્ત હતા અને તેમનો રથ પણ તમે હાંકેલો અને ખુદ મારી પણ તમે ગર્ભવાસમાં ક્ષા કરેલી, માટે આપ સર્વશક્તિમાન હોવાથી આપની લાગવગથી મને મારા ગુનાની શિક્ષા ન મળે તેવું કરો. જીવનમાં આ માટે પહેલો જ ગુનો છે ભવિષ્યમાં ફરીથી આવો ગુનો કો નહિ સોગંદનામ કરું છું. માટે આટલો વખત મને જતો કરો તો હું આપ કહેશો તેટલો અઢળક ખર્ચો કરીને આપ ખુશ થાઓ તેટલો ધર્માદો કરીશ. ભગવાન પાસે લાગવગશાહી કે લાંચરુશ્વતખોરી કર્મના કાયદાના અમલમાં ના ચાલે. પરીક્ષિત મોટો રાજા હતો અને તેના રાજ્યની સુપ્રીમ કૉર્ટ પણ તેને સજા ફરમાવી શકે તેમ નહોતી, છતાં પરીક્ષિતે પોતે પોતાની સામે તહોમતનામું પોકાર્યું અને સખત શિક્ષાની માગણી કરી. (તમે નસીબદાર હો અને બાપદાદાએ ઘરમાં શ્રીમદ્ ભાગવતનું પુસ્તક વસાવ્યું હોય અને છાજલીમાં પડ્યું-પડ્યું ધૂળ ખાતું હોય તો તે પુસ્તક છાજલીથી ઉતારીને, ધૂળ ખંખેરી નાખી ઉઘાડીને વાંચજો કે પરીક્ષિત ખુદ પોતાની સામે તહોમતનામું ફરમાવીને શું શિક્ષાની માગણી કરે છે.) મહર્ષિ વ્યાસ પરીક્ષિતના બોલેલા શબ્દો નીચે પ્રમાણે લખે છે ઃ

અહો મયા નીચમનાર્યવત્ કૃતમ્ । નિરાગસિ બ્રહ્મણિ ગૂઢતેજસ ||

અરેરે ! મેં એક નિરપરાધી બ્રાહ્મણ સાથે ઘણું જ નીચ, અધમ કૃત્ય કર્યું અને મારાં કરેલાં ક્રિયમાણ કર્મોના પરિણામે મારા પાપના નાશ માટે તાકીદે મને સખત શિક્ષા થાઓ, જેથી કરીને ભવિષ્યમાં હું અગર મારો દાખલો લઈને બીજો કોઈ રાજા આવો નીચ ધંધો કરે નહિ. ધ્રુવં તતો મે મૃતદેવહેલનાદ્, દુરત્યયં વ્યસનં નાતિદીર્થાત્ । તદસ્તુ કામ ત્વથનિષ્ક્રિતાય મે, યથા ન કુર્યાસ્ પુનરેવમન્ના | અધૈવ રાજ્ય બલમૃદ્ધકોશં, પ્રકોપિતબ્રહ્મકુલાનલો મે । દહતુ અભદ્રસ્ય પુનર્ન મેડભૂત, પાપીયસી ધીઃ દ્વિજદેવગોભ્યઃ ॥ અને મને શિક્ષા તરીકે બ્રાહ્મણ ઋષિના ક્રોધાગ્નિમાં મારું આખું રાજ્ય, બળ, સમૃદ્ધિ, કોશભંડારો વગેરે તાત્કાલિક બળીને ખાખ થઈ જાઓ કે જેથી કરીને બ્રાહ્મણો, દેવો, ગાયો વગેરે પ્રત્યે આવી બુદ્ધિ મને ના સૂઝે

પરીક્ષિતે પોતાના ક્રિયમાણ કર્મનું ફળ - પ્રારબ્ધ - સામી છાતીએ ભોગવી લીધું અને મોક્ષ પામ્યો. તેણે કર્મના ફળમાંથી છટકવા લાગવગશાહીનો ઉપયોગ ના કર્યો - ઉપયોગ કર્યો હોત તોપણ કર્મ ફળ આપ્યા સિવાય છોડત નહિ. ૮. ધરમીને ઘેર ધાડ, અધર્મીને ઘેર વિવાહ:

કર્મનો અટલ સિદ્ધાંત છે કે જેવું વાવો તેવું લણો, જેવું કરો તેવું પામો, જેવી કરણી તેવી પાર ઉતરણી - જો જસ કરઈ સો તસ ફલ ચાખા.' પરંતુ આપણો બધાનો પ્રત્યક્ષ અનુભવ એવો છે અને આપણે નજરોનજર એવું જોઈએ છીએ કે જે માણસ ન્યાય, નીતિ અને ધર્મથી ચાલે છે તે આ જગતમાં દુઃખી થતો જ દેખાય છે. અધર્મ-અનીતિ કરે છે, કાળાંબજાર-લાંચરુશવત કરે છે તેને ઘેર બંગલા, મોટર, વગેરે સુખ- સમૃદ્ધિ હોય છે. આવું જોઈએ છીએ ત્યારે ઈશ્વર ઉ૫રથી આપણી શ્રદ્ધા ડગી જાય છે અને કર્મના કાયદામાં કાંઈક ગરબડ હોય તેવું લાગે છે અને તેથી સુખ મેળવવાની આશામાં આપણે પણ અનીતિ-અધર્મથી પૈસા પ્રાપ્ત કરવા પ્રેરાઈએ છીએ. આ એક ભયંકર ગે૨સમજ છે. પુણ્યનું ફળ હંમેશાં સુખ જ હોય છે અને પાપનું ફળ હંમેશાં દુ:ખ જ હોય છે. તેમ છતાં જે માણસ પાપ કરતો હોવા છતાં સુખ ભોગવતો દેખાય તો તે સુખ તેનાં હાલનાં પાપકર્મોનું ફળ નથી, પરંતુ તેણે પૂર્વે કરેલાં પુણ્યકર્મો જે સંચિતમાં જમા પડ્યાં હતાં તે પાકીને પ્રારબ્ધરૂપે તેને સુખ આપતાં હોય છે અને હાલનાં પાપકર્મોને ત્યાં સુધી ફલિત થવામાં વિલંબ કરવો પડે છે. પરંતુ જ્યારે તેનાં પૂર્વેનાં પુણ્યકર્મોનું બનેલું પ્રારબ્ધ વપરાઈ જશે કે તરત જ તેનાં પાપકર્મોનું પાકેલું ફળ (દુઃખ) પ્રારબ્ધરૂપે સામું આવીને તેનું દુઃખ ભોગવાવશે. જ્યાં સુધી પૂર્વે કરેલું પુણ્ય તપે છે, ત્યાં સુધી કેટલીક વખત હાલમાં કરાતાં પાપકર્મો હુમલો કરતાં નથી.

કબીરા તેરા પુન્યકા, જબ તક હૈ ભંડાર, તબ તક અવગુણ માફ હૈ, કરો ગુનાહ હજાર.પરંતુ

પુણ્ય પૂર્વેનું ખાતાં હમણાં સૂઝે છે તોફાન, પણ એ ખર્ચી ખૂટે કે આગળ વસમું છે મેદાન. જીવડા માન માન રે માન, હજીયે કેમ ના આવે સાન ?

જ્યારે હાલમાં ન્યાયનીતિથી ચાલનારો માણસ કદાચ દુઃખી થતો દેખાતો હશે, પરંતુ તેણે પૂર્વે કરેલાં પાપકર્મો સંચિત કર્મોમાં જમા થયેલાં તે પાકીને પ્રારબ્ધરૂપે સામે આવીને ઊભેલાં છે તેથી તે હાલ દુઃખી છે. હાલમાં ન્યાયનીતિથી કરેલાં કર્મો કાળે કરીને પાકશે ત્યારે તે સુખના સ્વરૂપમાં પ્રારબ્ધરૂપે આવીને તેને જરૂર મળશે જ. એટલે તેણે કર્મના કાયદામાંથી શ્રદ્ધા ડગાવીને, ન્યાયનીતિ છોડીને અધર્મનું આચરણ ન જ કરવું.

ગામડાંમાં અનાજ ભરવાની મોટીમોટી કોઠીઓ હોય છે. તેમાં ઉપરથી અનાજ નાખવામાં આવે છે અને કોઠીની નીચે એક બાકોરું હોય છે, તેમાંથી જોઈતું અનાજ કાઢવામાં આવે છે. તમારી કોઠીમાં ઘઉં ભરેલા છે અને મારી કોઠીમાં કોદરા ભરેલા છે. હવે હાલમાં તમે તમારી કોઠીમાં ઉપરથી કોદરા નાખતા હો તોપણ કોઠીના નીચેના બાકોરામાંથી ઘઉં જ નીકળે અને હું હાલમાં મારી કોઠીમાં ઉપ૨થી ઘઉં નાખતો હોઉં તોપણ જ્યાં સુધી મારી કોઠીના કોદરા પૂરેપૂરા ખલાસ ના થાય ત્યાં સુધી તે કોઠીના નીચેના બાકોરામાંથી કોદરા જ નીકળે; પરંતુ મારે અકળાવાની જરૂર નથી. જ્યારે તમારી કોઠીમાં ઘઉં પૂરા થઈ જશે એટલે પછી તમારે કોદરા ખાવાનો વખત આવવાનો જ છે તે ચોક્કસ છે; અને મારી કોઠીનાં પહેલાં સંચિત થયેલા કોદરા ખલાસ થઈ જશે, એટલે મેં હાલમાં નાખેલા ઘઉં આવવાની શરૂઆત થશે જ. પછીથી તમે જ્યારે કોદરા ખાતા હશો ત્યારે હું ઘઉં ખાતો હોઈશ; પરંતુ તે માટે થોડી ધીરજ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા અને કર્મના કાયદામાં વિશ્વાસ રાખવો જોઈએ.

બૅન્કનો મૅનેજર મારો નિકટનો સગો થાય છે અને તેની સાથે મારે ઘણો જ મીઠો સંબંધ છે, છતાં હું માત્ર પાંચ જ રૂપિયાનો ચેક બૅન્કમાં મોકલું તો તે સ્વીકારાતો નથી, જ્યારે તમારે તે બૅન્કના મૅનેજર સાથે  સખત દુશ્મનાવટ હોવા છતાં પણ તમારો હજારો રૂપિયાનો ચેક પણ તે સ્વીકારે છે, કારણ કે મારી પાસે બૅન્કના એકાઉન્ટમાં સંચિત બૅલેન્સ જ નથી, જ્યારે તમારી મોટી રકમ સંચિત બૅલેન્સમાં જમા પડેલી છે. તેથી મારે બૅન્કના મૅનેજ૨ પર ખોટું ન લગાડાય, પરંતુ મારે કેડ બાંધીને મારાં પુણ્યકર્મો સંચિતમાં જમા કરાવવા સતત પ્રયત્ન કરવો જોઈએ. 

જુલાઈ 10, 2023

પ્રેમ નો અર્થ...

આજે આ બુક બનાવવાનો મારો એક જ ઉદ્દેશ છે કે તમે પ્રેમ ને ભૂલો મત પ્રેમ ને હંમેશા જીવિત રાખો તમારા હદય માં.....આ પ્રેમ તમને જીવવાની નવી દિશા બતાવે છે..એક વાત સાંભળી લો પ્રેમ માં કોઈ દગો આપ તું નથી.કે કોઈ છોડી ને જતું નથી બસ થોડા સમય માટે આ પ્રકૃતિ તમારી પરીક્ષા લેતી હોય છે અને કોઈ પણ કારણ બનાવી તમને અલગ કરે છે પણ જો તમારો પ્રેમ સાચો હસે તો તમને જરૂર મળશે બસ તમે યે પ્રેમ ને ભૂલતા નહી અને પ્રેમ કરવાનુ છોડી ના મૂકતા ચાલો આજે તમને સવાલ કરું છું....
તમે કોઈને પ્રેમ કર્યો છે ખરો ?કોઈએ તમને પ્રેમ કર્યો છે ખરો ?લગ્ન પહેલાં ? લગ્ન પછી ? કોઈ તમારી આંખોમાં વસી ગયું હતું ખરું ? તમે કોઈની તરફ લાગણીથી ખેંચાયા હતા ખરા ?યાદ નથી આવતું ? તમારી યાદ દાસ્તને જરા ઢંઢોળો – હજુય યાદ નથી આવતું? તમારા અંતરના કોઈ એકાન્ત- ખાનગી ખૂણાને જરા ખંખેરો જરૂર યાદ આવી જશે.અને જો યાદ આવી જાય તો પ્લીઝ મહેરબાની કરી યે પ્રેમ ને જીવિત કરો તમારા પાત્ર ને કોલ યા msg કરો તમારા પ્રેમ ને યાદ કરો ભૂતકાળના બારણે ટકોરા મારો અને છતાં જવાબ જડે નહીં તો માનજો કે દુનિયામાં તમારા જેવો બીજો કોઈ કમ નસીબ માણસ નથી.ખોટું ના લગાડતા પણ 
કોઈ ના માટે તમને પ્રેમ જાગ્યો ન હોય, કે કોઈને તમારા માટે પ્રેમનો ભાવ પેદા થયો ન હોય, એના જેવું કમ ભાગ્ય બીજું હોઈ શકે ખરું ? આવા માણસની તો દયા ખાવી જોઈએ.સ્ત્રી હોય કે પુરુષ હોય, એ ક્યારેક તો કોઈની તરફ આકર્ષાયો હોય છે. ક્યારેક તો એ સ્ત્રી કે પુરુષ કોઈની તરફ ખેંચાયા હોય છે. કોઈને માટે તો હૃદયમાં પ્રેમનાં અંકુર ફૂટ્યાં હોય છે. કોઈને માટે તો હૈયું બેચેન બની ગયું હોય છે. કોઈને પોતાના કરવાની તીવ્ર ઝંખના જાગી ગયેલી હોય છે.લગ્ન પહેલાં કે લગ્ન પછી પણ કોઈને માટે પ્રેમ જાગી ગયો હોય છે.એ પ્રેમનું આયુષ્ય કેટલું હતું, એનું બહુ મહત્વ નથી. એ પ્રેમની ઉંમર દિવસોની હતી, મહિનાઓની હતી કે વરસોની હતી એનું પણ ખાસ મહત્વ નથી. પ્રેમ થઈ ગયો હતો, પ્રેમ જાગી ગયો હતો કે નહીં, એ જ વાતનું મહત્વ છે. ક્યારેક થોડી ક્ષણોનો પ્રેમ, વરસોના પ્રેમ કરતાં પણ વધારે ઉત્કટ અને સુદઢ હોય છે. થોડી ક્ષણોના પ્રેમની એટલી તો મધુરતા હોય છે, એટલી તો સચ્ચાઈ હોય છે કે જિંદગીભર એ યાદ રહી જાય છે. પ્રેમનું આયુષ્ય કદી પૂછવાનું હોય નહીં. પ્રેમ ની તો જન્મતિથિ હોય છે, પણ તમે કોઈ પ્રેમીને પૂછો : તમારા પ્રેમની જન્મતિથિ કઈ ? તો એ મૂંઝવણમાં મુકાઈ જશે. એને એ પ્રશ્નનો જવાબ જડશે નહીં.
પ્રેમ થઈ જાય છે ખરો, પણ પ્રેમ ક્યારે થઈ ગયો, કઈ રીતે થઈ ગયો, ક્યા કારણે થઈ ગયો, એકાએક થઈ ગયો કે સમય લાગી ગયો હતો, મનના કેવા માહોલ વચ્ચે પ્રેમ જન્મી ગયો હતો, એ બધા પ્રશ્નો કોઈ પૂછે તો એનો કોઈ જવાબ મળશે નહીં.પ્રેમ એ તો એક એવો પદાર્થ છે, જે સમજ્યો સમજાતો નથી. તમે જરૂર પ્રેમ કર્યો હશે. કદાચ કોઈ છોકરો કે છોકરી ગમી ગયા હશે, અને આકર્ષણ ઊભું થયું હશે. મનમાં ને મનમાં તો જરૂર એ છોકરો કે છોકરીને મળવાની, એની સાથે વાતો કરવાની ઝંખના જાગી ગઈ હશે. ક્યારેક એવું પણ બને છે,કોઈ જરા પણ જાણે નહીં, એ રીતે મનોમન પ્રેમ થતો હોય છે. એનો પ્રેમ પામવાનું અને એને પ્રેમ આપવા મન અંદર ને અંદર થન ગની રહ્યું હોય છે.
દરેક છોકરા-છોકરીના જીવનમાં આવી નાજુક ક્ષણો આવી જતી હોય છે. આ પ્રીતને કુંવારી પ્રીત કહેવામાં આવે છે. પ્રેમ હોય છે ખરો, પણ એકબીજાને પામવાના અરમાન બધા અધૂરા રહી જતા હોય છે. હોઠ અને હૈયું બન્ને કુંવારાં રહી જતાં હોય છે.અને પહેલા જ પ્રેમમાં જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે કેટલાક એવા હોય છે, જેમને જિંદગીમાંથી રસ ઊડી જાય છે. જેમને જીવન અળખામણું બની જાય છે, એ આપઘાત કરવા સુધી દોડી જાય છે. કાં તો દેવદાસ કે મજનૂ બની જાય છે કાં તો પાગલ બનીને આમથી તેમ ભટકે છે.
પણ કેટલાક એવા હોય છે જે પ્રેમની નિષ્ફળતાના એ આઘાતને જીરવી લે છે. ઝેરના એ ઘૂંટડાને હસતાં હસતાં પી જાય છે. એ વેદનાને ભીતરમાં જ ગોપાવી દે છે. કોઈને જરા જેટલીય જાણ પડવા દેતા નથી.
પ્રેમ થઈ ગયો, અને પ્રેમ તૂટી ગયો એથી શું ? એથી જિંદગીને અણ ગમતી બનાવી દેવાય ખરી? પ્રેમમાં બહુ ઓછાને સફળતા મળે છે. પ્રેમમાં નિષ્ફળતા મેળવનારાઓની સંખ્યા ઝાઝી હોય છે. પણ એ બધા કાંઈ આત્મહત્યા કરી લેતા નથી. એ બધા કાંઈ શરાબની લતે ચડી જઈને રોમિયો બની જતા નથી. એ બધાં કંઈ દોડતી આવતી ટ્રેનની નીચે પડતું મૂકતા નથી. પ્રેમની નિષ્ફળતાના ભૂકંપ નીચે એ કચડાયા જરૂર હોય છે, પણ તરત જ બેઠા થઈ જતા હોય છે અને જિંદગીને નવેસરથી જીવવાની શરૂઆત કરતા હોય છે. એ મનની પીડાને મનમાં જ સંઘરી રાખતા હોય છે.જે પ્રેમ કર્તવ્યને ભુલાવી દે છે એને પ્રેમ કહી શકાય ખરો? પ્રેમ અને કર્તવ્ય એકબીજા સાથે જોડાયેલા છે. ક્યારેક તો એવું પણ બને છે, કર્તવ્ય માટે પ્રેમનું બલિદાન આપવું પડતું હોય છે. કર્તવ્ય આગળ પ્રેમ મોન બની જાય છે.. પ્રેમ કદી છીછરો હોઈ શકે નહીં. પ્રેમમાં તો દરિયાની ઊંડાઈ હોય છે. પ્રેમને વરસો સાથે સંબંધ નથી. પ્રેમને તો ક્ષણો સાથે પણ એટલોજ ઉત્કટ સંબંધ હોય છે. પ્રેમ તો ઘડી – દો ઘડીનો પણ હોઈ શકે, પણ એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અક બંધ રહે, ધબકતો રહે.
પ્રેમ એક સરોવર નથી, પ્રેમ તો એક નદી છે, વહેતી નદી. સતત વહેતીનદી. પ્રેમ કદી સરોવરની જેમ પાળો વચ્ચે કેદ રહી શકે નહીં. પ્રેમને તો વહેતા રહેવું  જોઈએ. વહેતા રહેવું એ પ્રેમનો સ્વભાવ છે. પ્રેમ એ દુનિયાના બજારમાં જાહેર કરવાની કોઈ ચીજવસ્તુ નથી. પ્રેમનાં ઢોલ-નગારાં વગાડવાનાં હોતાં નથી. પ્રેમના વરઘોડા કે ફુલેકાં પણ હોતા નથી. પ્રેમ એ તો અંતરના એકાન્ત ખૂણામાં અમૂલ્ય મોતીની જેમ સાચવી રાખવાની, જાળવી રાખવાની એક ચીજ છે. એટલે તો કહેનારે કહ્યું છે કે, પ્રેમનાં મોતી કોઈ ઝવેરીની દુકાને વેચાતાં મળતાં નથી. કોઈના દિલના દરિયામાં ડૂબકી મારવાનું જેના નસીબમાં હોય, એને જ આ મોતી પ્રાપ્ત થાય છે.
તમે કોઈને છાનો-છૂપો પ્રેમ તો જરૂર કર્યો હશે. તમારા ભાગ્યમાં જુદાઈ લખાઈ હશે. તમારું એ પ્રિયજન આજે કદાચ દૂરદૂર હશે, દરિયાપાર હશે, એને જોયે અને એને મળ્યે વરસો વીતી ગયાં હશે, પણ એથી થઈ શું ગયું ? એનું સ્મરણ તો તમારા હૈયામાં ગોપાયેલું છે ને ? કોઈ વાર નિરાંતની પળોમાં એને યાદ કરી જોજો. પ્રેમની ક્ષણોના સ્મરણનો પણ એક અનોખો આનંદ હોય છે. અને પ્રેમ પાછો યાદ આવી જશે ...
પ્રેમ એટલે એકબીજા સામે નહી પણ બન્નેએ સાથે એક દિશામાં જોવુ તે..- પ્રેમ એટલે ન તો એકલો હું કે ન તો એકલી તું, પ્રેમ એટલે"આપણે".-જેમાં સમાધિ લાગે તે પ્રેમ.- પ્રેમ એટલે ભૂતકાળની એવી પળ જે તમારા વર્તમાનને ક્ષણભર થંભાવી દે..- દલીલ નહી દિલની વાત એટલે પ્રેમ..- વરસાદ પછીનો તડકો ઉઘડે એ પ્રેમ..- પ્રેમ એટલે વસંતઋતુ..- જેમાં ઓગળી જવાની ઇચ્છા થાયએ પ્રેમ..
પ્રેમ એટલે લાગણીનો ભીનો અનુભવ.-લેવાની નહી
આપવાની વૃતિ એટલે પ્રેમ.- પ્રેમ એટલે હ..લ..કા સા નશા..-પ્રેમ એટલે ઇશ્વરની ભેંટ- માનવીય લાગણીઓને જોડતો પૂલ એટલે પ્રેમ..-
જીવનના પાનખરમાં પણ વસંતના વાયરા આપે તે પ્રેમ..- menમાંથી gentlemen બનાવે તે પ્રેમ..-ક્કો ન આવડે પણ કવિતા લખે તે પ્રેમ..- સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે તે પ્રેમ..- પ્રેમ એટલે લાગણીની લોકશાહી.- વ્યાખ્યામાં બંધાય નહી તે પ્રેમ.- તમારા પ્રેમીના માત્ર એક સ્માઇલ માટે ગમે તે કરી છુટવાની ઇચ્છા એ પ્રેમ.- પૃથ્વી પર સ્વર્ગનો અનુભવ થાય એ પ્રેમ..-love એટલે logic નહી magic..-દિમાગથી પિંજવુ નહી પણ દિલથી માંજવું એટલે પ્રેમ.. -લાગણીની અભિવ્યક્તિ એટલે પ્રેમ. એમાય વળી ઉંમર પ્રમાણે અલગ અલગ અભિવ્યક્ત થતો હોય છે, જેમ કે ઉમર અનુસાર છોકરાઓનો પ્રેમ અને તે પ્રેમ પરની છોકરીઓની નાજુકભાવના
૦:-૭ વર્ષની છોકરી : પ્રેમ એટલે હું રોજએના દફતરમાંથી છુપીને ચોકલેટ કાઢી લઉં છું,છતાય એ રોજ દફતરના તેજ ખાનામાં ચોકલેટ રાખેછે.
૦૧૨ વર્ષની છોકરી : પ્રેમ એટલે લેસનકરતી વખતે,પેન્સિલ આપતી વેળા તેને મારા હાથના ટેરવાઓને કરલો સ્પર્શ.
૧૫ વર્ષની છોકરી : પ્રેમ એટલે એકદિવસ હંમે બંનેએ મળીને સ્કુલમાં ના જવાનો નિર્ણયલીધો હતો. પણ જયારે પકડાઈગયા ત્યારે બધો ગુનો પોતાના માથે લઈને એણે એકલાએ ભોગવેલી સજા.
૦૧૮ વર્ષની છોકરી: પ્રેમ એટલેસ્કુલના સેન્ડ-ઓફ કાર્યક્રમમાં એને જોરથી કરેલી જપી અને ખારા આંસુ ઓ પીતા પીતા ફરી પાછા મળવાની કરેલી મીઠી અપેક્ષા. 
૦૨૧ વર્ષની છોકરી : પ્રેમ એટલે મારી કોલેજની પીકનીક જ્યાં ગઈ હતી એ જગ્યાએ પોતાની કોલેજમાંથી ગુટલી મારી ને મને આપેલી સપ્રાઈઝ ભેટ.
૦૨૬ વર્ષની છોકરી પ્રેમ : એટલે ગોઠણ પર બેસીને હાથમાં ગુલાબનું ફૂલલઈને તેને લગ્ન માટે કરેલો પ્રસ્તાવ...
૦૩૫ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલે હું બહુથાકી ગઈ છું,એ જોઇને તેને પેલી વાર કરેલી રસોઈ.
૦૫૦ વર્ષની સ્ત્રી : પ્રેમ એટલેબીમારીને લીધે બહુદિવસથી બેડમાં હોવા છતાં,મને હસાવવા માટે કરેલો વિનોદ અને વાતો..
૦૬૦ વર્ષ ની સ્ત્રી : પ્રેમ એટલે તેનેછેલ્લો શ્વાસ લેતી વખતે,આવતા જનમમાં ચોક્કસ પાછા મળવાનું દીધેલ વચન.
પ્રેમ એટલે ગાલિબ' નાં શબ્દોમાં -હૈ ઇશ્ક નહીં આસાન ઇતના સમઝ લીજીયેયે આગકા દરિયા હૈઔર ડૂબકે જાના હૈ!
પ્રેમનાં વિષયમાં આ એક જૂનો અને જાણીતો શેર છે  દરિયા પ્રેમકા ઉલ્ટી ઉસકી ધારજો ઉતરા સો ડૂબ ગયા જો ડૂબા સો પાર!
માણસ અને જિંદગીની વાત છેડાય ત્યારે લોકો કહતા હોય છેકે એકલા આવ્યા છે અને એકલા જ પાછા જવાનું છે . માણસ એકલો આવે છે અને એકલો જ જાય છે કારણ કે તે માણસના હાથમાં નથી .બીજી એટલી જ સાચી વાત એ છે કે માણસ એકલો જન્મે છે અને એકલો મરે છે પણ એકલો જીવી શકતો નથી . કોઇ પણ માણસના જીવનને સભર, રસભર અને તરબતર કરે એવું જો કોઇ તાજગીભર્યું તત્વ હોય તો તે પ્રેમ છે.
પૃથ્વી પર રહીને જો સ્વર્ગની ઝાંખી કરવી હોય તો પ્રેમ જેવી કોઇ બારી નથી !એક ખાસ ઉમર થતાં મોટા ભાગનાં યુવક યુવતીઓનાં મનમાં વિજાતીય પ્રેમની ઝંખના જાગે છે, માત્ર માતા પિતા, ભાઈ બહેન કે સગા સંબંધી ઓનાં પ્રેમથી એમનું મન ભરાતું નથી .બાળપણમાં મિત્રો તો ઘણા હોય છે પણ ઉમર વધતા મૈત્રીની તલપ અને વિજાતીય આકર્ષણનો રસ ધીરે ધીરે પેદા થાય છે .પ્રકૃતિએ માણસ માત્રમાં મૂકેલી આ એક કુદરતી વૃત્તિ છે .
મિલન કરાવે મૈત્રી, જુદાઇ સતાવે પ્રેમ.....હસાવે છે મૈત્રી, રડાવે છે .....પ્રેમબોલે તે મૈત્રી, ચૂપ રહે એ પ્રેમ....તો પણ લોકો મૈત્રી છોડીને કેમ કરે છે પ્રેમ ?..વાત કરવા માટે કશું જ ન હોય છતાં ય તમને વાત કરવાનું મન થાય, કોઇની કંપનીમાં તમને સારું લાગે ને અજંપો આપમેળે ઓસરી જાય, કોઇની હાજરીથી તમારી આસપાસ આનંદની એક નવી દુનિયા રચાતી જાય અને તમારો સમય કયાં પસાર થઇ જાય છે એની સહેજ પણ ગતાગમ ન રહે તો સમજવું કે તમે પ્રેમમાં છો !
જાણીતા શાયર મરીઝ’ કહે છે –વાત હોય તો તેને છુપાવી શકું ‘મરીઝ’,આ તો પ્રેમ છે..એનાં પુરાવા હઝાર છે !પ્રેમ સાથે સંકળાય છે સમય અને સ્થળ . દરેક પ્રેમીને એવી ઝંખના હોય છે કે પોતાના પ્રેમને પૂર્ણવિરામ ન આવે.પ્રેમ બધું જ સહન કરી શકે છે સિવાય કે સમયની પાબંધી ; આવો પ્રેમ કશાને ગાંઠતો નથી – નીતિ નિયમ, કાયદા કાનૂન, જ્ઞાતિ, સમાજ વગેરે .પ્રખ્યાત શાયર અમ્રુત ઘાયલનો એક શેર છે
–ગમે તેટલી વેદજુની વેદના તો જુની જ હોવાની,રૂપાની દિવડીમાં વાટ તો રૂની જ હોવાની,
નહીં મેળ બેસે એમનો કદી કાનુનથી ‘ ઘાયલ ‘મહોબ્બતની દલીલો તો ગેરકાનુની જ હોવાની! :
આજકાલ મોટા ભાગના યુવાનો પ્રેમરોગથી પીડાતા જોવામાં આવે છે . આમાં વિજાતીય . આકર્ષણ સિવાય ભાગ્યેજ કશું વિશેષ હોય છે . અબાધિત સ્પર્શ સુખ માણવા માટેનાં આવેગથી બન્ને જણ પરવશ બને છે અને તેઓની લગ્ન જલ્દી કરી લેવાની વૃત્તિને બળ મળે છે . ભાગ્યે જ સફળ થતા હોય છે પ્રેમનું ગણિતજ અલગ છે – જેટલું જતું કરો તેટલું મેળવો !એકબીજાને પામવા માટે એકબીજામાં ખોવાવું પડે; મતલબ કે ખોવો તો મેળવો . લુપ્ત થઇને તૃપ્ત થવાની કળા એટ્લે પ્રેમ !
કોઇને પોતાનું બનાવવા માટે પોતાનું પોત ઓગાળીને કોઇના થવું પડે એજ સાચો પ્રેમ.પ્રેમમાં આવા ઉપર છલ્લા આકર્ષણથી જન્મેલા ઉતાવળિયા લગ્ન શરુશરૂમાં માણસને એકબીજાની ખૂબીઓજ દેખાય છે. પ્રેમમાં હોઇએ ત્યારે પહેલાં તો એવું જલાગે છે કે સામેનું પાત્ર એકદમ પરફેક્ટ ( યોગ્ય ) છે .
વરસો વીતી ગયા પછી માણસને સામી વ્યક્તિની ખામીઓ દેખાવા લાગે છે . આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સર્વગુણસંપન્ન દોષરહિત હોતી નથી . પ્રેમની સફળતા માટે તમે તમારા પ્રિયપાત્રને જેવી છે તેવી સ્વીકારી લો ;સામી વ્યક્તિની માત્ર ખૂબીઓને જ નહીં પણ ખામીઓને પણ સ્વીકારવાની સમજણ એટ્લે સાચો પ્રેમ!
પ્રેમ બધાને કરવો હોય છે, પ્રેમ બધાને જોઇતો પણ હોય છે પણ તકલીફ એ છે કે બધાને પ્રેમ પોતાની શરતે કરવો છે . તમે તમારી શરતથી પ્રેમ કરી શકો પણ તમારી શરતે સામા પાત્રનો પ્રેમ મેળવી ન શકો . બન્ને વ્યક્તિની ઇચ્છા એક થાય ત્યારે પ્રેમ નું સર્જન થાય છે; પ્રેમ પ્રયત્નથી નથી થતો, પ્રેમમાં હારવાનું કે જીતવાનું નથી હોતું, પ્રેમમાં તો માત્ર પામવાનું જ હોય છે !પ્રેમનું કોઇ ઠેકાણું નથી કોઇના કહેવાથી થાય નહીં આજે કઇ જ ના હોય, કાલે થઇ જાય તો કહેવાય નહીં! પોતાના પહેલા પહેલા પ્રેમને કોઇનાથી ભૂલાય નહીં કેમ, ક્યારે અને ક્યાં થાય એ કોઇને સમજાય નહીં !એવું સાંભળ્યું છે કે પ્રેમ કરાતો નથી પણ થઇ જાય છે પરંતુ પ્રેમ થાય એટ્લે નિભાવાય જ તો નથી કારણ કે પ્રેમ નિભાવવો પડે છે.
-ઇસ દુનિયામેં અય દિલવાલો દિલકા લગાના ખેલ નહીં ,ઉલ્ફત કરના ખેલ હૈ લેકીન કરકે નિભાના ખેલ નહીં ! પ્રેમમાં માત્ર ચાહવાનું હોતું નથી સ્વીકારવાનું પણ હોય છે .પ્રેમ એટ્લે કે સંપૂર્ણ સર્વસ્વનો સ્વીકાર – ગુણોનો સ્વીકાર અને અવગુણોનો પણ સ્વીકાર, જિંદગીના દરેક રંગનો સ્વીકાર તેમ જ દરેક જંગનો પણ સ્વીકાર પ્રેમમાં બે વ્યક્તિઓની શરત પણ એક, લડત પણ એક,હાર પણ એક અને જીત પણ એક !પ્રેમ જ્યારે લગ્ન ના પરિણામે થાય છે ત્યારે મોટે ભાગે સ્વતંત્રતા નો લોપ થતો હોય છે . અપેક્ષા અને અધિકાર ભાવ સાથેનો પ્રેમ જો લગ્નમાં પરિણમે તો કોઇ ન કોઇ દિવસ ક્ષતવિક્ષત થયા વગર રહેતો નથી.આવી પરિસ્થિતિમાં લગ્ન ભલે ટકી શકે છે પણ લગન એટલે પ્રેમ જતો રહે છે. પરસ્પરની સમજણ એ પ્રેમની આંખ છે અને સ્વતંત્રતા એ પ્રેમની પાંખ છે ; સમજણ વિનાનો પ્રેમ આંધળો છે અને મોકળાશ વિનાનો પ્રેમ પાંગળો !
જો સમજણ અને સ્વતંત્રતાનું પૂરી જાગરુકતા સાથે બન્ને વ્યક્તિ તરફથી રક્ષણ કરવામાં આવે તો લગ્નમાં પરિણામે તો પ્રેમ જરૂર સફળ થાય છે .હોય ઇશારા પ્રેમનાં એના ના કોઇ પીટે ઢોલ,બેઉ ગુમસૂમ સૂનમૂન તોય આંખો બોલે બોલ!ના આમ, ના તેમ,ના કારણ ના કેમ,ના શંકા ના વહેમ,પ્રેમ એટલેબસ પ્રેમ, પ્રેમ અને પ્રેમ! 
સીધી રીતે કહું તો હજારો માણશો ના વચ્ચે પણ બે પ્રેમી પાત્ર માત્ર આંખ ના ઈશારા થી વાત કરે અને એક બીજાનું કાર્ય કરે અને સમજે એ પ્રેમ..
આમ, પ્રેમ એટલે સમાધાન કરીને સચવાય એટલી સાચવી લીધેલી જીવનની ક્ષણો,પ્રેમ એટલે સલામતીની સતત તૂટતી રહેલી દીવાલોનીબાકી રહી ગયેલી ઈંટો અને પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયામાં મૂકેલો સરનામા વિનાનો પત્ર.
જેમ દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.
યુવક-યુવતી વચ્ચેનો પ્રેમ સુંદર હોય છે પરંતુ વૃધ્ધ અને વૃધ્ધા વચ્ચેનો પ્રેમ અતીભવ્ય હોય છે.તો ચાલો, આપણે સૌને અનહદ પ્રેમ કરીએ. માત્ર માણસને જ નહિ, પ્રકૃતિનેય પ્રેમ કરીએ, જગતમાં જે કંઈ છે એ સૌને નિઃસ્વાર્થ ભાવે ચાહીએ. જો એ શક્ય બનશે તો આપણને સૌનો પ્રેમ સ્વયંભૂ મળશે એ નિઃશંક. એ પછી જ આપણે‘મનુષ્યત્વ’થી ‘દેવત્વ’ સુધીની યાત્રા આનંદપૂર્વક કરી શકીશું.
એટલે કહું શું હજી પ્રેમ ને સમજો પ્રેમ પર જો લખવાં બેશી યે તો કેટલી યે બુક બની જાય પણ પ્રેમ નો અંત ના આવે પ્રેમ અનંત છે જેનો કોઈ અંત નથી 
પ્રેમ માં હાર ન માનો બસ પ્રેમ કરો અને કરતા રહો સામે પાત્ર પ્રેમ કરે ના કરે બસ તમે પ્રેમ કરતા રહો અને પ્રેમ ને જીવિત રાખો...એક વાર પ્રેમ ની પરિભાષા મારી બુક સમજજો તમારો સાથ રહેશે તો યે બુક નો નવો ભાગ જરૂર બનાવીશ....
પ્રેમ ને તમારા અંદર જીવિત રાખો યે તમને પરમાત્મા સુધી લય જશે......
રાધે.... રાધે....

જૂન 29, 2023

Last love

Last Love After hearing this word, who is the first love in everyone's mind, the question arises....so that you don't get into more trouble, let me tell you that if you have read my first book, Mara Prem, then you will know that it is my first love.  If you haven't read it, take some time and read it.

- Manojbhai Solanki

{looking for love}

Now, before I show you about my last love, let me tell you that if love happens only once, where did this last love come from? I was looking for love since childhood, but I could not find true love anywhere.  Many girls have come and gone but I did not find the love I was looking for. I was looking for a holy love. Lust free love has not yet been found in this life.  ,and hide his realness, or reveal everything....showing his realness but loved and tried to get love but still no character who can understand me......many characters in my life  All came and parted for what reason, all in terms of love to you and people I have made a book to explain.. No attraction, no fear, no anger, no infatuation, no pride, no jealousy, because of all these vices, I have left myself as a girl, or if you leave me, I have left you as a character.  ....

While searching for love, I came to know about Rashi, Jyotish, Numerology, Dream Interpretation, Kundli, and the definition of love.  What's wrong, I started to know all this ... Yes my first love why I had to leave it will also be known in a few days in the book called My Prem....

With all this knowledge, one thing is known for sure that the true meaning of love is surrender.. But the important thing is what to surrender?  One last time I searched for someone to love...

Now I was looking for a character who hates love, who doesn't believe in love, because one has to explain love before one can love..because I believed that...”  No one has ever loved.  And a character who has never seen pain in love falls in love soon. And such a character misunderstands attraction as love".. So I didn't need such a character.. Now some 2 lovers get separated for some reason.. I didn't think it was right to love such a lover because "leaving their own character, they are soon looking for another character to burn the character in front of them, and show them, make them angry.  Without understanding love, one falls in love quickly because of anger towards the opposite character".  A girl came and seeing her reminded me of my bus journey.

About 5 years ago when I was traveling in a bus, a face came in front of me. Serious face, what kind of face did you have?

If you have a smiling face that always makes you want to talk to someone, whether you are sad or happy, whatever time you see them.

Sad faces are seen at any time, whether happy or sad, they only appear in a lot of pain, tension, with which they don't feel like talking and such people live alone most of the time..so no one

When you see a serious face, you feel afraid of talking to him, sitting or standing near him, you feel afraid that someone will speak now (for example, if you want to make a mistake in front of your father, maybe your father will find out and speak.  So we get scared when we see a serious face..there are so many faces...let's just talk about it..I liked that serious face because in his face I had my first love.  The face looked as if she was angry because whenever my first love was angry she used to make such a face and I was scared to even talk.. Now I was very curious to know who this serious face was and who it was I went to her.  I was afraid to talk but I don't know why I felt like talking, I couldn't speak  The bus was still moving and his eyes were on the windows and I was on him... After about half an hour he looked at me for less than half a second and then he didn't look at me once and I looked at him for about an hour and a half. And suddenly the bus stopped and she got off there. I was so lost in seeing her that I forgot to see where she got off at the station. And after five years, this face came to my village to work as a doctor. Nature did not know what kind of game she was playing. From the place where she came to work, there was a shop in front of me. Now she is in front of my eyes. So I was very happy because the joy was not enough in my heart


 The last time I wanted to love someone I found a character whose name I didn't even know..so I went straight to her to know the name but she was a new comer so she was busy talking to everyone, a lady from our village. He asked if Ben is your name...then he said my name is Anshu....and as soon as I heard the name I came straight to my shop and I shouted so many times from the slow sound coming and going on the road...Anshu... Chanted the name but did not know when it started and when the chanting of the Anshu name ended.....


 Now only one hope, and dream that when we meet in love, when he falls in love with me..


 Who is Anshu...? Where did you come from? And will he love me? And does true love mean understanding... I will tell all this in the next part... Radhe Radhe


 - Manojbhai Solanki 

How did you start loving yourself and being confident?

 Loving oneself starts with no reason or with no method, it's natural, it's normal, does anyone teach a baby in the womb of a mother how to love!!?? The babu loves the mother unconditionally, and he/she as an infant doesn't need “how to” or any “know how”..The love is in the very Nature of the humans as well animals



How do you see love in yourself


Ah, love. It's a complex and beautiful thing, isn't it? Seeing love in yourself can be a truly enlightening experience. It's about recognizing and embracing the love that resides within you, and understanding how it manifests in your thoughts, actions, and relationships.

First and foremost, self-love is the foundation upon which everything else builds. It's about accepting and embracing yourself for who you are, flaws and all. Remember, it's okay to have flaws – they make you human. Start by cultivating a positive self-image and practicing self-care. Treat yourself with kindness, respect, and compassion. Celebrate your achievements, big or small, and learn from your mistakes without being too hard on yourself. Remember, no one is perfect!

Next, pay attention to the things that bring you joy and make you feel alive. What activities make your heart sing? What hobbies or interests make time fly by? Engaging in these activities not only shows self-love but also allows you to connect with your true passions and desires. This is where you'll often find love in yourself.

Love is not just about romantic relationships; it extends to the way you interact with others. Notice how you treat people – friends, family, colleagues, even strangers. Are your actions rooted in kindness and empathy? Do you genuinely care about their well-being? Seeing love in yourself means being mindful of how you impact others' lives.


When you see love in yourself, it becomes easier to spread that love to others. So, take the time to look within, embrace your own capacity for love, and let it shine brightly. You deserve it, and the world needs it.

                                 _   MANOJBHAI  

                                     {Prem ni shodh ma 🌹}


મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

છેલ્લો પ્રેમ 4(એક ભૂલ)

નમસ્તે મિત્રો કેમ મજામાં... છેલ્લો પ્રેમ 4 માં હવે આગળ વધી એ પહેલા એક વાત કહી દવ કે જ્યારે પ્રેમ માં હોવ ત્યારે ભૂલ થી પણ કોઈ ભૂલ ના થાય તેન...